વડોદરાના બામણગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બામણગામે મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યાં છે. સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
વડોદરાના બામણગામે મકાન ધરાશાયી
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી હાથધરી
અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ
વડોદરાના બામણગામે એક મકાન ધરાશાયી થતાં 5 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને કાટમાળમાં દટાઈ ગયેલા પાંચ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં છે.
કાટમાળ નીચે દટાયા હતા 5 લોકો
મળતી માહિતી અનુસાર, વડોદરાના બામણગામે મકાન ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દટાયા હતા. જોકે, આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કુલ 2 લોકોને બચાવી લેવાયા
આ અકસ્માતમાં ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરાતા કુલ 2 લોકોને બચાવી લેવાયા છે અને 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરમાંથી પણ સામે આવી હતી સમાન ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભાવનગરમાંથી પણ મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં મકાનના કાટમાળ નીચે કુલ ત્રણ લોકો દટાયા હતા. જેમાં એકનું મોત નિપજ્યું હતું. ભાદેવાની વિસ્તારમાં આવેલી ગોરી ફળીયામાં એક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાટમાળમાં દટાઈ ગયેલા ત્રણ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં હતાં અને એક યુવતીનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.