મહામારી જેને અંગ્રેજીમાં Pandemic કહે છે એવી કક્ષાના રોગચાળા સદીઓથી ઇતિહાસમાં વારંવાર આવ્યા છે. કોરોના વાયરસથી ત્રસ્ત માનવજાતે ભૂતકાળમાં પણ આવા ઘણા રોગચાળાઓનો સામનો કર્યો છે જેમાંથી ઘણા રોગચાળાઓએ તો સમાજ ઉપર ઘેરી અસરો ઉભી કરી છે. આ અસરોમાં લોકોના મૃત્યુ થવા ઉપરાંત મોટા મોટા સામ્રાજ્યોના પાયા હલી ગયા છે, લોકોએ સામાજિક ક્રાંતિઓ આણી છે અને યુદ્ધો થયા છે. આવો જાણીએ આવા કેટલાક રોગચાળાઓ જેણે માનવ ઇતિહાસને જળમૂળથી બદલી નાખ્યો.
જસ્ટિનિયન પ્લેગ
ઇજિપ્તમાં છઠ્ઠી સદીમાં શરુ થયેલો આ રોગ ઝડપથી યુરોપ તરફ અને એશિયા તરફ ફેલાયો. તે સમયમાં બાયઝનટાઈન સામ્રાજ્યના શાસક જસ્ટિનિયનના નામ પરથી આ પ્લેગનું નામ પડ્યું હતું. આ પ્લેગમાં તોતિંગ 2.5 કરોડ થી 10 કરોડ લોકો મરી ગયા હોવાનું કહેવાય છે. આ સમયે બાયઝનટાઈન સામ્રાજ્ય વિસ્તરીને ઇટલી, રોમ અને ઉત્તર આફ્રિકા સુધી પહોંચી ગયું હતું.
આ પ્લેગ ઘણા બધા અંતરાલમાં પાછો આવ્યો અને છેલ્લે ઇસ 750માં અદ્રશ્ય થઇ ગયો. જો કે ત્યાં સુધી આ સામ્રાજ્ય ઘણું નબળું પડી ગયું હતું. આ સમયે શાસક સેનામાં નવા લડવૈયાઓ ભરતી ન કરી શક્યા. રાજધાની ઇસ્તંબુલ પણ મહામારીને કારણે આર્થિક રીતે ઘસાઈ ગઈ હતી. પરિણામ એ આવ્યું કે બાયઝનટાઈન સામ્રાજ્યનું પતન થયું. તેમની યુરોપની ભૂમિ જર્મેનિક ભાષા બોલતા ફ્રાન્ક્સ લઇ ગયા અને ઇજિપ્ત અને સીરિયા ઉપર આરબ પ્રજાએ કબ્જો મેળવી લીધો.
બ્લેક ડેથ
14મી સદીમાં આવેલો આ રોગ માનવ ઇતિહાસનો સૌથી ભયજનક રોગ હતો. આ રોગમાં 7.5 કરોડથી 20 કરોડ જેટલા લોકોના મોત થયા હોવાનો અંદાજો છે. 1340માં આ રોગ ચીન, ભારત, સીરિયા અને ઇજિપ્તમાં ફેલાયો. 1347માં આ રોગે યુરોપમાં એન્ટ્રી લીધી જેણે વખત જતા યુરોપની અધધ 50% વસ્તીનો ભોગ લઇ લીધો. આ મહામારીના ઊંડા આર્થિક અને સામાજિક પ્રત્યાઘાત પડ્યા.
સ્ટેનફોર્ડના ઇતિહાસકાર વોલ્ટર સ્કેઈડલના મતે યુદ્ધ, ક્રાંતિ, શાસન પડી ભાગવું અને મહામારી આ ચાર પરિબળોથી સમાજમાં અસમાનતા દૂર થાય છે. યુરોપમાં જમીનના ભાવો ગગડી ગયા કારણ કે માંગમાં ઘટાડો થયો જયારે લોકોની સંખ્યા ઘટી જવાથી ખેતમજૂરોના વેતનમાં ઉછાળો આવ્યો. પરિણામે જયારે અર્થતંત્ર સુધરી ગયું શાસકોએ ખેતમજૂરોના વેતનને નિયંત્રિત કરતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો જેનાથી પરિણામ સ્વરૂપે 1381માં ખેતમજૂરોએ બળવો પોકાર્યો. આ ઉપરાંત ઘણાએ આક્ષેપ મુક્યો કે યહૂદીઓએ આ રોગ ફેલાવ્યો છે પરિણામે યુરોપમાં મોટા પ્રમાણમાં યહૂદીઓને મારી નાખવાની જીવતા સળગાઈ દેવાની પ્રવૃતિઓ શરુ થઇ.
આ ઉપરાંત આ સમયે લોકોને સમયે ચર્ચમાંથી શ્રદ્ધા ઓછી થઇ ગઈ. ચર્ચના પાદરીઓ ભગવાનને પ્રાર્થના કરવા માટે લોકોને અપીલ કરતા હતા પણ કોઈ રીતે આ રોગ અટકતો નહોતો જેથી લોકોએ ચર્ચ ઉપર ભરોસો કરવાનો ઓછો કરી દીધો અને ચર્ચ અને તેના ધાર્મિક સત્તાધીશોનો પ્રભાવ ઓછો થઇ ગયો.
સ્પેનિશ ફલૂ
પહેલા વિશ્વ યુદ્ધના છેલ્લા તબક્કામાં શરુ થયેલો સ્પેનિશ ફલૂ ગઈ સદીનો સૌથી ભયંકર રોગચાળો હતો. આ રોગચાળામાં 5 કરોડ જેટલા લોકોની મોત થઇ હતી. આ ફલૂ યુરોપથી શરુ થયો હતો અને ત્યાર બાદ ફેલાઈને અમેરિકા અને એશિયા સુધી પહોંચ્યો હતો. ભારત આ રોગચાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત થયું હતું અને દેશના 1.7 થી 1.8 કરોડ લોકો એટલે કે તે સમયની કુલ વસ્તીના 6% લોકો આ રોગમાં મોતને ભેટ્યા હતા.
આ મહામારીએ વિશ્વયુદ્ધ ઉપર સૌથી મોટી અસર કરી. બંને પક્ષોને નુકશાન થયું હોવા છતાં જર્મન અને ઓસ્ટ્રિયન પક્ષને સૌથી વધુ નુકશાન થયું હતું. જર્મન જનરલ એરિચ લડનડોર્ફના મતે આ એક માત્ર કારણ હતું કે જર્મનીની હાર થઇ હતી. શાંતિની સંધિ 11 નવેમ્બર 1918માં થઇ ગઈ હતી ત્યાર પછી પણ આ ફલૂથી મહિનાઓ સુધી લાખો લોકો પોતાના જીવ ગુમાવતા રહ્યા.
કોવિડ 19
અત્યાર સુધી 20 લાખથી વધુ લોકોમાં ફેલાયેલો અને 1 લાખ 25 હજારથી વધુ મોત માટે જવાબદાર કોરોના વાયરસ કેટલા અંશે વિશ્વને બદલી નાખશે એમ કહેવું હજુ મુશ્કેલ છે. પરંતુ આ મહામારીમાં પ્રજાસત્તાક અને સરમુખત્યાર બંને દેશોએ તેમની પ્રજાની હિલચાલ ઉપર ઐતિહાસિક ગણી શકાય એ પ્રકારના પ્રતિબંધ મુક્યા છે. પશ્ચિમના દેશો જે વિશ્વયુદ્ધ પછી પૃથ્વીના સૌથી વિકસિત દેશો ગણાય છે તેઓ આ વાયરસ સામે લાચાર બન્યા છે. અમેરિકામાં બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી વધુ બેરોજગારી ફેલાયેલી છે. વિશ્વના તમામ દેશોએ અબજો ના અબજો ડોલરના રાહત પેકેજ જાહેર કરેલા છે. શકવર્તી કહી શકાય એવા ફેરફારો - સારા કે ખરાબ એ સમય નક્કી કરશે - અત્યારે વૈશ્વિક ધોરણે થઇ રહ્યા છે એ વાતમાં શંકાને સ્થાન નથી.