પાદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સદસ્યોના કરુણ મોત નીપજવાની ઘટનાથી માતમ છવાયો.માતા-પુત્ર અને ભત્રીજાના મોતના પગલે નાનું એવું કરખડી હિબકે ચઢ્યું
પાદરા તાલુકાના કરખડી ગામ ચઢ્યું હિબકે
વિપ્ર પરિવાર પર વજ્રઘાતની ઘટનાથી સ્તબ્ધતા
એક જ પરિવારના ત્રણ સદસ્યો ડૂબી ગયા
વડોદરા નજીક મહીસાગર નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ સદસ્યોના કરુણ મોત નીપજવાની ઘટનાથી માતમ છવાયો છે. પાદરા તાલુકાના કરખડી ગામ પાસે વહેતી મહીસાગર નદીમાં માતા-પુત્ર અને ભત્રીજાના ડૂબી જવાથી વિપ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ત્રણ'યના મોતના પગલે નાનું એવું કરખડી હિબકે ચઢ્યું છે. વડુ પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
એક મહિલા,બે બાળકોના મળ્યા મૃતદેહ
બનાવની વિગત પ્રમાણે,પાદરા તાલુકાના કરખડીના વિપ્ર મહિલા જ્યોતિબહેન વ્યાસ તેમનો પુત્ર અભય અને ભત્રીજો મિતેશ મહીસાગરના નદીના વહેણમાં નહાવા પડ્યા હતા.અચાનક જ તેઓ ડૂબતા હોવાનો આભાસ થયો અને ત્રણ વ્યક્તિઓ ડૂબતા હોવાની ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ બચાવ માટે દોડી આવ્યા હતા. બચાવ કરવા આવેલા તરવૈયાઓના હાથે નિરાશા હાથ લાગી હતી. જ્યોતિ બહેન અને તેમના પુત્રના મૃતદેહ તેઓની હાથ લાગ્યા હતા. જ્યારે ભત્રીજા મિતેશનો મૃતદેહ માટે સ્થાનિક ફાયર વિભાગે ભારે જહેમત આદરી હતી. લાંબી દડમજલ બાદ ભત્રીજા મિતેશનો મૃતદેહ હાથ લાગ્યો હતો. વિપ્ર પરિવાર પર આવી પડેલી આપદા અને ત્રણ વ્યક્તિના મોતથી કરખડીમાં ભારે માતમ છવાયો છે.
મનાઈ છતાં લોકો નહાવા ઉતરે છે
મહીસાગરના કાંઠા વિસ્તારના ગામોમાંથી લોકો નદીમાં નહાવા ઉતરે છે. સાવલી વિસ્તારના લોકો પણ અહીં બેરોકટોક નદીના પાણીમાં નહાવા ઉતરે છે.ડૂબી જવાની આ ઘટના કઈ પહેલીવાર નથી બની.અગાઉ પણ અહીં નહાવા પડેલા વિદ્યાર્થીઓ પણ ડૂબી ગયાની ઘટના બની છે.સ્થાનિક કક્ષાએ,નદીમાં નહાવા ના ઉતારવા અંગેના સુચના આપતા બોર્ડ પણ લગાવ્યા છતાં,સહેલાણીઓ તેની પરવા કરતા નથી. આ જ પરિણામે,મહીસાગર નદીનાં વહેણમાં નાગરિકોના ડૂબી જવાથી મોત નીપજે છે.