રામનવમીના દિવસે જ ગુજરાતમાં કેટલીક જગ્યાએ શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. હિન્દુ ધર્મના પાવનપર્વ રામનવમીના અવસરે હિંમતનગર બાદ ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. રેલી દરમિયાન પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવો બન્યા હતા. લોહીલૂહાણની સ્થિતિ જોવા મળી હતી. સ્થિતિ એવી બદ્દતર બની હતી કે પોલીસે ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
આણંદ: પોલીસે 3 મૌલવીની કરી અટકાયત
આણંદના ખંભાતમાં રામનવમી નિમિત્તે પથ્થરમારાની ઘટનામાં પોલીસે 3 મૌલવીની અટકાયત કરી છે. ઉશ્કેરણી કરવા બદલ 3 મૌલવીઓની અટકાયત કરાઇ છે. પોલીસે કેટલાક તોફાની તત્વોની પણ અટકાયત કરી છે . હજુ પણ અન્ય તોફાની તત્વોની શોધખોળ ચાલુ છે. મહત્વનું છે કે ખંભાતના સક્કરપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી જેમાં કનૈયાલાલ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યું. ખંભાતમાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયોઃ DGP
રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં પથ્થરમારો અને જૂથ અથડામણના બનાવને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાત્રે બેઠક યોજી હતી. બેઠકમાં સ્થાનિક અધિકારીઓ પણ જોડાયા હતા. બેઠક બાદ ડીજીપી આશિષ ભાટિયાએ નિવેદન આપતા જણાવ્યું કે હિંમતનગર અને ખંભાતની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાઇ છે. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો તેમજ કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. હિંમતનગરમાં આઇજી કક્ષાના 2 અને SP કક્ષાના 4 અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત RAFની બે કંપની હિંમતનગરમાં તૈનાત કરાઇ હોવાનું DGPએ જણાવ્યું હતું.
ખંભાતમા રાયોટીંગના બે ગુના દાખલ કરાયાઃ DGP
આણંદના ખંભાતમાં તંગદિલી ભર્યા માહોલને લઇને DIG કક્ષાના બે અધિકારીઓ તૈનાત કરાયા છે. તેમજ પથ્થરમારાના બનાવમાં કનૈયાલાલ રાણા નામની વ્યક્તિનું મોત નીપજ્યુ જે અંગે મર્ડરનો ગુનો નોંધાશે તેમ DGPએ જણાવ્યું હતું, તો બીજી તરફ સ્થિતિ વધુ વણસે નહી તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી તેમ DGPએ વધુમાં ઉમેર્યુ હતું.
ખંભાતમાં સ્થિતિ કેમ વણસી ?
ખંભાતમાં રામનવમી પર્વ પર શોભાયાત્રા નીકળી હતી
સક્કરપુરા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઇ હતી
સક્કરપુરામાં કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો
પોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વો થયા બેફામ
સક્કરપુરમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું થયું હતુ મૃત્યુ
કનૈયાલાલ રાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું ખુલ્યુ
ચગડોળ ગ્રાઉન્ડ નજીક પણ કેટલીક દુકાનોમાં લગાવી આગ
પોલીસે ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
હિંમતનગરમાં શું બની હતી ઘટના ?
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અસામાજિક તત્વોએ વાહનો સળગાવ્યા હતા.પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો.. પોલીસની ગાડી પર પણ હુમલો થયો હતો. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા.. છાપરીયા વિસ્તારમાં 2 જૂથોના આમને સામને પથ્થરમારાથી તંગદિલીનો માહોલ સર્જાયો હતો.