હરિયાણાના અંબાલા-ચંદીગઢ હાઈવે પર એક ખાનગી યુનિવર્સિટીની સામેના ખાલી મેદાનમાંથી 3 જીવંત હેન્ડ ગ્રેનેડ અને એક IED મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
ખાલી મેદાનમાંથી મળી આવ્યો 3 જીવંત હેન્ડ ગ્રેનેડ અને એક IED
પરપ્રાંતિય મજૂરોએ હેન્ડ ગ્રેનેડને જોતા જ પોલીસને જાણ કરી
બોમ્બ સ્ક્વોડની ટીમે ત્રણેય જીવંત હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કરી દીધાં
કેટલાંક પરપ્રાંતિય મજૂરોએ હેન્ડ ગ્રેનેડને મેદાનમાં પડેલો જોયો. ત્યાર બાદ તુરંત આ મામલે પોલીસને જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ સ્ક્વોડની ટીમે ત્રણેય જીવંત હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કરી દીધાં. હવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે કે, ખાલી મેદાનમાં આખરે આ 3 જીવતા હેન્ડ ગ્રેનેડ ક્યાંથી અને કેવી રીતે આવ્યાં. આ ઘટના અંગે માહિતી આપતાં અંબાલાના SP જશ્નદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે, હરિયાણા-પંજાબ બોર્ડરના ચંદીગઢ હાઈવે પરથી 3 ગ્રેનેડ અને IED મળી આવ્યાં છે.
તેમણે કહ્યું કે, કોલેજના સ્ટાફને આ બોમ્બ ગઈ કાલે (શનિવાર) સાંજના મળ્યો હતો, પરંતુ પોલીસને તેની માહિતી ખૂબ મોડેકથી મળી હતી. અંબાલા એસપીએ કહ્યું કે, આ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે.
આ બોમ્બ અહીં શા માટે અને કેવી રીતે આવ્યો તેને શોધવાના પ્રયાસો શરૂ
આ મામલાની ગંભીરતાને જોતા તેની માહિતી NIA અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને પણ આપવામાં આવી. એસપીએ કહ્યું કે, આ બોમ્બ અહીં શા માટે અને કેવી રીતે આવ્યો તે શોધવાના તમામ પ્રયાસો હાલમાં કરવામાં આવી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, SPએ પંજાબમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીના એંગલથી પણ તેની તપાસ કરવાનું કહ્યું છે. તેઓએ જણાવ્યું કે, બોમ્બ સાથે કેટલાંક દસ્તાવેજો પણ મળી આવ્યાં છે. આ કેસમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. બીજી તરફ, ગુરપ્રીત નામના જે વ્યક્તિએ પોલીસને બોમ્બ મળ્યાની માહિતી આપી હતી તેઓએ જણાવ્યું કે, ગઈ કાલે સાંજથી આ 3 બોમ્બ ખાલી મેદાનમાં પડ્યા હતાં તેની સૂચના તુરંત તેની આસપાસના લોકોને કરી દેવાઇ હતી.