ભાવનગર-અમદાવાદ રુટ પર આજે કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત થતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.
ભાવનગર-અમદાવાદ રુટ ઉપર વધુ એક અકસ્માત
કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના મૃત્યુથી હાહાકાર
ધોલેરા-પીપળી વચ્ચે થયો હતો અકસ્માત
અકસ્માતની ગોઝારી ઘટનાને પગલે ભાવનગર-અમદાવાદ માર્ગ આજે વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. આ માર્ગ પર આવેલા ધોલેરા અને પીપળી વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 3 લોકો કાળનો કોળિયો બની જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો અને 2 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. બીજી તરફ અકસ્માતની આ ગોઝારી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
3 લોકોના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજ્યો
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ડુંગળી ભરી ભાવનગર તરફ આવી રહ્યો હતો. આ વેળાએ ધોલેરા અને પીપળી વચ્ચે પહોંચતા મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278 સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મૃતકો સિહોર સુખા જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40 રે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર) ગોવિંદ હમીરભાઈ ગોહિલ (રહે.ઈશ્વરીયા ગામ તા.સિહોર) તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા (ઉ.વ.40 રહે.રામધરી ગામ તા.સિહોર)ના મોત નિપજ્યાં હતા. અને ગાંડા કમા જોટાણા અને બુધા ડાયા જોટાણાને ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે પર અકસ્માતની વણઝાર
નોંધનિય છે કે, ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે ને પહોળો કરવાની કામગીરીને પગલે માર્ગ સાપસીડી જેવો બન્યો છે. અણધાર્યા વળાંક અને ડાયવર્ઝનના કારણે સતત ટ્રાફીકના બનાવો સામે આવે છે. પંદર દિવસ અગાઉ ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અંબાજી તળાજા રૂટની બસ ગત ગુરૂવારે સાંજના અરસામાં નિરમા પાટિયા નજીક પલ્ટિ મારી ગઈ હતી. આ બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 7 મુસાફરોને મુંઢ ઈજાઓ પહોંચી હતી. તેવામાં આજે વધુ એક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.
કાંકરેજના કંબોઈ ખાતે ટ્રેકટરની અડફેટે બે રાહદારીના મૃત્યુ
અકસ્માતની વધુ એક ઘટના કાંકરેજના કંબોઈ ખાતે સામે આવી છે જેમાં ટ્રેકટરની અડફેટે 2 રાહદારીના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકામું બનેલું કાળમુખું ટેક્ટર બસ સ્ટેન્ડમાં ઘૂસી ગયું હતું. આ દરમિયાન બે રાહદારીઓ વાહનની રાહ જોતા સ્ટેન્ડ ઉપર ઉભા હતા. જેને અડફેટે બંને મુસાફરોના મોત થયા હતા. આ અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.