ગુજરાતમાં અકસ્માતોની ઘટના છાશવારે બનતી રહે છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. મહિસાગરના બાલાસિનોર બસ સ્ટેશન નજીક અકસ્માતમાં 3ના મોત નિપજ્યા છે.
બાલાસિનોર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત
ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં 3ના મોત
પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
મહિસાગરના બાલાસિનોર બસ સ્ટેશન પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. બાઇક પર સવાર પતિ, પત્ની અને બાળકનું મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાઇ ગયો હતો. આથી, આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ બાલાસિનોર પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગઇકાલે ધંધુકા-બગોદરા રોડ પર અકસ્માતમાં 5ના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં હરિપુરા પાટિયા પાસે અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. અકસ્માતમાં 2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતમાં સામસામે ટ્રક અને કાર ધડાકાભેર અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
ગઇકાલે નસવાડી ખાતે અકસ્માતમાં 16 લોકો થયા હતા ઈજાગ્રસ્ત
તદુપરાંત છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પોચંબા ગામ નજીક પણ ગઇકાલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો અને પીકઅપ જીપ સામસામે અથડાતા અકસ્માતમાં 16 લોકોને ઈજા પહોંચતો તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલા લોકોને ગંભીર ઈજા થતા તેઓને રાજપીપળા રીફર કરાયા હતા.
ગુજરાતમાં દર બીજા અકસ્માતમાં એક વ્યક્તિનું થાય છે મોત
અત્રે જણાવી દઇએ કે, ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં દર બીજા એક્સિડન્ટ (અકસ્માત) માં એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. વર્ષ 2021માં દેશમાં 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા છે. જેમાં 1.73 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના ગાળામાં થાય છે
ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસો નોંધાયા છે. જેમાંથી રાજ્યમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી. ગુજરાતમાં 2021માં 8,036 લોકોનાં મૃત્યુ થયા છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થયા છે. 2020માં ગુજરાતમાં 13,898 ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો. ટ્રાફિક અકસ્માતોમાં 15,200 બનાવો રોડ અકસ્માતોના હતા જ્યારે 571 બનાવ રેલવે અકસ્માતોના હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇ્સ ઇન ઇન્ડિયા, 2021' ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.
રાજ્યમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાં નેશનલ હાઇવે પર 3,376 અકસ્માતોમાંથી 2,017 લોકો, સ્ટેટ હાઇવે પર થયેલા 4,420 અકસ્માતોમાં 2,543 લોકો જ્યારે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતોમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ સિવાયના અન્ય 7,360 રોડ અકસ્માતોમાંથી 2,864 લોકોનાં મૃત્યુ થયા હતાં.