ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે.
લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત
ડમ્પર પાછળ પેસેન્જર વાન ઘૂસી જતા અકસ્માત સર્જાયો
3ના ઘટનાસ્થળે મોત અને 1 વ્યક્તિને ગંભીર રીતે ઇજા થઇ
સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર એક પેસેન્જર વાન અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયાની ઘટના ઘટી છે. જેમાં કાનપરા પાટીયા નજીક એકાએક ડમ્પર પાછળ પેસેન્જર વાન ઘૂસી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ ઘટના ઘટતાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. તેમજ પોલીસને પણ અકસ્માતની જાણ થતા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પેટલાદના ધર્મજ પાસે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો
બીજી બાજુ આજે આણંદના પેટલાદના ધર્મજ પાસે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધર્મજ નજીક મુસાફરથી ભરેલ ખાનગી બસે પલટી મારતા 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં બસ ચાલક સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બાકીના મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. વાહન ચાલકને ઝોંકુ આવી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે
ઉલ્લેખનીય છે કે, તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં સતત રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમાં કોઇકના મોત થયાના સમાચાર સામે આવતા જ રહે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, રાજ્યમાં રોજના 43 અકસ્માતમાંથી 22 લોકોના મૃત્યુ થાય છે. દર બીજા એક્સિડન્ટ (અકસ્માત) માં એક વ્યક્તિનું મૃત્યુ થઇ રહ્યું છે. વર્ષ 2021માં દેશમાં 4.22 લાખ ટ્રાફિક અકસ્માત થયા છે. જેમાં 1.73 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના ગાળામાં થાય છે
ગુજરાતમાં ટ્રાફિક અકસ્માતના 15,771 કેસો નોંધાયા છે. જેમાંથી રાજ્યમાં 13,723 લોકોને ઇજાઓ થઇ હતી. ગુજરાતમાં 2021માં 8,036 લોકોનાં મૃત્યુ થયા છે. તમને જાણીને કદાચ નવાઇ લાગશે કે સૌથી વધારે અકસ્માતો બપોરના 3થી રાત્રે 9 વાગ્યાના સમયગાળામાં થયા છે. 2020માં ગુજરાતમાં 13,898 ટ્રાફિક અકસ્માતના કેસ નોંધાયા હતા. એક વર્ષમાં ટ્રાફિક અકસ્માતોમાં 13.5 ટકાનો વધારો થયો. ટ્રાફિક અકસ્માતોમાં 15,200 બનાવો રોડ અકસ્માતોના હતા જ્યારે 571 બનાવ રેલવે અકસ્માતોના હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઇ્સ ઇન ઇન્ડિયા, 2021' ના અહેવાલમાં આ વિગતો સામે આવી છે.
રાજ્યમાં થયેલા કુલ માર્ગ અકસ્માતોમાં નેશનલ હાઇવે પર 3,376 અકસ્માતોમાંથી 2,017 લોકો, સ્ટેટ હાઇવે પર થયેલા 4,420 અકસ્માતોમાં 2,543 લોકો જ્યારે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતોમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ સિવાયના અન્ય 7,360 રોડ અકસ્માતોમાંથી 2,864 લોકોનાં મૃત્યુ થયા હતાં.
અકસ્માત માટે બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ જવાબદાર કારણ
અકસ્માતના સૌથી જવાબદાર કારણોમાં બેફામ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડ સૌથી વધારે જવાબદાર કારણ છે. ગુજરાતમાં સૌથી વધારે 6,630 લોકોનાં મૃત્યુ ઓવર સ્પીડના કારણે થયા છે. જ્યારે વર્ષ 2021માં રખડતાં ઢોરના કારણે 46 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. દેશમાં આ આંકડો 1,264 છે. સૌથી વધારે 128 લોકોએ ઓડિશામાં ઢોરોના કારણે જીવ ખોયા છે.