અમદાવાદ મનપાના કર્મીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો, જુલાઈ માસથી ભથ્થું વધીને આવશે
અમદાવાદ મનપાના કર્મીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું મળશે
રાજ્ય સરકારના કર્મીઓ બાદ અમદાવાદ મનપાના કર્મીઓ માટે પણ રાહત ભર્યા સમાચાર મળી રહ્યા છે. AMCના કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વધારો જુલાઈ માસથી મનપા કર્મચારીઓને આપવામાં આવશે. સરકારે મોંઘવારી ભથ્થા વધારો અમલ કરતા મનપા કર્મીઓને પણ લાભ મળ્યો છે.
1લી મેએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો હતો
ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
10 મહિનાનું એરિયર્સ કર્મચારીઓને 2 હપ્તામાં ચૂકવાશે
આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. સરકારે તારીખ 1 જુલાઈ, 2021 ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રથમ હપ્તો મે-2022 અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે અપાશે.