National Company Law Tribunal એટલે કે NCLTએ એક ઐતિહાસિક ચુકાદામાં રાજકોટના 3 વ્યક્તિઓને એક કંપની વિરુદ્ધ બનાવટી ફરિયાદ દાખલ કરાવવા બદલ 90000 રૂપિયાનો દંડ કર્યો હતો અને આ દંડની રકમ PM CARES ફંડમાં ડિપોઝીટ કરવામાં આવશે.
NCLTએ રાજકોટના 3 વ્યક્તિઓને એક કંપની વિરુદ્ધ બનાવટી ફરિયાદ દાખલ કરાવવા બદલ વ્યક્તિ દીઠ 30000 એટલે કે કુલ 90000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ વ્યક્તિઓએ રાજકોટની કોસ્મોસ ટેક્નોકાસ્ટ pvt ltd સામે ઇનસોલ્વન્સી પિટિશન દાખલ કરી હતી.
ફરિયાદીઓ કંપનીના પ્રમોટર્સના સગા છે
એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે બનાવટી પિટિશન દાખલ કરવા બદલ NCLT દ્વારા દંડ કરવામાં આવે તેવી પ્રથમ વખત ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે કૃષ્ણ ઠુમ્મર, પોપટભાઈ ઠુમ્મર અને JM કથરોટીયાએ પિટિશન દાખલ કરી હતી. આ ફરિયાદીઓ કંપનીના પ્રમોટર્સના સગા છે એવી વિગત સામે આવી હતી. પિટિશન પ્રમાણે તેમણે કુલ 7 લાખ રૂપિયાનું કંપનીમાં રોકાણ કર્યું હતું જેમાં કંપની તેમને વાર્ષિક 24% વ્યાજદર સાથે 45 લાખ રૂપિયા પાછા આપવા માટે બંધાયેલી હતી.
વ્યાજની ચુકવણી માટે કોઈ એગ્રીમેન્ટ થયું નહોતું
આ સામે કંપનીએ દાવો કર્યો હતો કે તેમની બેલેન્સ શીટ પ્રમાણે એવું સાબિત થાય છે કે આ લોન ફક્ત સગાસંબંધી હોવાના ધોરણે અપાઈ હતી અને વ્યાજની ચુકવણી માટે કોઈ એગ્રીમેન્ટ થયું નહોતું. આમ છતાં કંપની સામે ચાલીને 12% વ્યાજ પ્રતિ વર્ષ આપવા તૈયાર હતી પણ આ ત્રણ વ્યક્તિઓ આ શરતો માનવા તૈયાર નહોતા.
આપેલ લેણામાં કોઈ લેખિત કોન્ટ્રાકટ થયો નથી
આ મુદ્દે NCLTની બેન્ચે કહ્યું હતું કે અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે અત્યારના ફરિયાદીઓએ ખોટા ઈરાદા સાથે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે આપેલા લેણામાં કોઈ લેખિત કોન્ટ્રાકટ થયો નથી અને અત્યારે તેઓ 24% જેટલા ઊંચા વ્યાજદરે તેમની રકમ પાછી માંગી રહ્યા છે. કંપનીની બેલેન્સશીટ જોતા લાગે છે કંપની આ રકમ પછી ભરી શકવા સક્ષમ તો છે પણ આટલા ઊંચા વ્યાજદરે ચુકવણી કરવાની જરૂર નથી અને આવી ખોટી ફરિયાદ બદલ 3 ફરિયાદીઓને દંડ ફટકારવામાં આવે છે.