અકસ્માતોની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આજે અકસ્માતની અલગ-અલગ 3 ઘટના બની હતી. જેમાં 4 લોકોના મોત થયાં હતા.
ગુજરાતમાં રવિવારે અકસ્માતની વિવિધ 3 ઘટનાઓ
5 લોકોના કમકમાટી ભર્યા મોત
પોલીસે હાથ ધરી કાર્યવાહી
રાધનપુરના અમીરપુરા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન બંન્ને યુવકના મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાધનપુર પોલીસે આ ઘટના અંગેની ગંભીરતાથી નોંધ લઈને સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુરતના કામરેજ કોસાડી નજીક અકસ્માત
સુરતના કામરેજ કોસાડી નજીક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ચાલકનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની હતી જ્યારે બાઇક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે ધસી આવેલા ટ્રકની ટક્કર વાગી અને ચાલક ટાયર નીચે આવી જતા કમકમાટીભર્યું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આણંદમાં ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
આણંદમાં ચોથા માળેથી પટકાતા યુવકનું મૃત્યુ થયું છે. આણંદના વિદ્યાનગર રોડ પર અર્થવ કોમ્પલેક્સમાં ACનું કોમ્પ્રેસર ફીટ કરવા યુવક ચોથા માળ પર ગયો હતો. ત્યારે છત પરથી પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. જેમાં તેનું મૃત્યુ થયું છે. યુવક આંકલાવ તાલુકાના કંજોડા ગામનો રહેવાસી છે.
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક-રિક્ષા વચ્ચે અકસ્માત
આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે 6 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ, 6 લોકો ઘાયલ
અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદથી જ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.