દેશમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ આવતી રહે છે. ત્યારે UPના અયોધ્યામાં એક ખાનગી બસે પલટી મારતા 3નાં મોત નિપજ્યાં છે જ્યારે 30થી વધુ ઘાયલ થયા છે.
અયોધ્યામાં નેશનલ હાઈવે 27 પર ગંભીર અકસ્માત
દુર્ઘટનામાં 3નાં મોત તો 30થી વધુ મુુસાફરો ઘાયલ
ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
અયોધ્યામાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઈવે 27 પર ઓવરટેક કરતી વખતે ખાનગી બસ બેકાબુ થઈ જતા બસે એકાએક પલટી મારી દીધી હતી. ત્યારે આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. એવું કહેવાઇ રહ્યું છે કે, બસમાં સવાર 30 જેટલાં મુસાફરો પણ ઘાયલ થયા છે. જણાવી દઇએ કે, બસ દિલ્હીથી બાંસી અને સિદ્ધાર્થનગર જઈ રહી હતી. હાલમાં ઘાયલ મુસાફરોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આ દુર્ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ નીતીશ કુમારે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, ઘાયલોને દરેક શક્ય તેટલી મદદ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
અગાઉ પણ ઉત્તર UPના ઈટાવામાં માર્ગ અકસ્માતમાં 6ના મોત થયા હતા
આ પહેલાં 9 માર્ચે ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતાં જ્યારે 5 લોકો ઘાયલ થયા હતાં. આ અકસ્માત સૈફઈ રોડ પર નગલા ગામ પાસે થયો હતો. જેમાં એક ટ્રક અને કાર વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ઈટાવાના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સતપાલ સિંહે જણાવ્યું હતું કે, ટ્રક ઈટાવા તરફ જઈ રહી હતી, જ્યારે બીજી બાજુથી અર્ટિગા કાર આવી રહી હતી. અકસ્માત બાદ અર્ટિગામાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ટ્રકમાં સવાર એક વ્યક્તિનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકોમાંથી પાંચ લોકો અર્ટિગા કારમાં સવાર હતાં જ્યારે એક ટ્રકમાં સવાર હતો.