કાયદાથી શિક્ષણનો અધિકાર તમામ બાળકોને મળેલો છે. પરંતુ શિક્ષણતંત્રની ઉદાસીનતાના કારણે કેટલાક બાળકોને આ અધિકારના ફળ ચાખવા મળતા નથી. રાજ્યમાં એક તરફ અનેક સરકારી કચેરીઓને વર્લ્ડ ક્લાસ લૂક આપવા માટે રિનોવેશન પાછળ પુષ્કળ ખર્ચા કરવામાં આવે છે. જ્યારે બીજી તરફ રાજ્યમાં અનેક માળખાગત સુવિધાનું નિર્માણ કરવામાં તંત્ર ઘોર ઉદાસીનતા સેવે છે. ઈચ્છાશક્તિ અને ઉપેક્ષાના આ બે અંતિમબિંદુઓ વચ્ચે રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જુગાર ખેલાઈ રહ્યો છે. એટલે જ તો આજે રાજ્યમાં અનેક બાળકો ઓરડા વગરની શાળાઓમાં ભણવા મજબૂર બન્યા છે.
ખુલ્લામાં શિક્ષણ છીનવાયો અધિકાર
ખાતમુહૂર્તમાં ઉત્સાહ નિર્માણમાં નિરુત્સાહ
214 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 વર્ગખંડા
સરકાર દ્વારા ભણશે ગુજરાત ખેલશે ગુજરાતના સ્લોગનો ઘડી કાઢવામાં અને તેને વહેતા કરવામાં જેટલો ઉત્સાહ દાખવવામાં આવે છે. તેટલો ઉત્સાહ બાળકો માટે સુવિધાસભર શાળાઓનું નિર્માણ કરવામાં દાખવવામાં આવતો નથી. શિક્ષણતંત્રની ઘોર ઉપેક્ષાનું ઉદાહરણ શોધવા માટે દૂર ક્યાંય જવાની જરૂર નથી. આ જુઓ આ છે અમરેલી જિલ્લાની સાવરકુંડલા સ્થિત બ્રાંચ શાળાનંબર-6 આ શાળાને ધોરણ એકથી 7 સુધીની માન્યતા મળેલી છે. સાવરકુંડલા અને આજુબાજુના ગામના અનેક બાળકો પણ હમેંશા ઉત્સાહભેર આ શાળામાં અભ્યાસ કરવા આવી રહ્યા છે.
પરંતુ આ ઉત્સાહ હમેંશા જળવાઈ રહે તેવું સરકારશ્રીનું શિક્ષણતંત્ર ઈચ્છતું હોય તેવું લાગતું નથી. કેમ કે આ બ્રાંચ શાળામાં 214 વિદ્યાર્થીઓ વચ્ચે ફક્ત ત્રણ જ ઓરડા છે. જેના કારણે શાળાને બે શિફ્ટમાં ચલાવવાની ફરજ પડે છે. પૂરતા ઓરડાના અભાવે 1થી 4 ધોરણને બપોરની શિફ્ટમાં બોલાવવા પડે છે. તેમાં પણ એકાદ ધોરણને ખુલ્લામાં જ બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. જ્યારે સવારની પાળીમાં 5થી 7 ધોરણના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે.
બે ઓરડામાં કોઈપણ બે વર્ગના બાળકોને બેસાડવામાં આવે છે
બપોરની શિફ્ટમાં ધોરણ 1થી 4ના બાળકોને બોલાવવામાં આવે છે. પરંતુ ઓરડા માત્ર 3 જ હોવાથી એક ઓરડામાં પ્રાથમિક શાળાના આચાર્ય બેસે છે. તો બે ઓરડામાં કોઈપણ બે વર્ગના બાળકોને બેસાડવામાં આવે છે. બે ઓરડા પેક થઈ ગયા બાદ એક ધોરણને ઓસરીમાં બેસાડીને શિક્ષણકાર્ય શરૂ કરવું પડે છે. શાળાના વિદ્યાર્થીઓ માટે નવી બિલ્ડીંગ મંજુર થઈ ગઈ છે. આ તકતી જુઓ નવા ઓરડા માટે આજથી બે માસ પૂર્વે ખુદ મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઈન ખાત મુહૂર્ત પણ થઈ ગયું હતું.
પરંતુ સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે આજે બે માસ બાદ પણ નવી શાળાના બિલ્ડિંનું કામકાજ શરૂ થયું નથી. ખાત મુહૂર્તની આ તકતીમાં જેટલા પણ મોટા નામ છે તેમને જો વર્ગખંડોના નિર્માણ માટે તંત્રને ઢંઢોળવામાં રસ દાખવ્યો હોત તો વર્ગખંડોના નિર્માણનું કામ ખાતમુહૂર્ત બાદ તુરત શરૂ થઈ જાત પરંતુ ખાત મુહૂર્ત બાદ કોઈએ આ તરફ જોયું નથી જેના કારણે બાળકો આજે પણ કેટલાક બાળકો રોજ ખુલ્લામાં જ ભણવા મજબૂર બન્યા છે. હવે જ્યારે આ અહેવાલ મીડિયામાં પ્રકાશિત થવાનો ભય દેખાયો ત્યારે જિલ્લા શિક્ષણતંત્ર 2 મહિનાથી અટવાયેલું કામ હવે માત્ર અઠવાડિયામાં શરૂ થઈ જશે તેમ જણાવી રહ્યા છે.
100 વર્ષ જૂની જર્જરિત શાળાને પાડી નાખવામાં આવી હતી અને તેના નિર્માણમાં વધારે સમય ન વેડફાય તે માટે ખુદ મુખ્યમંત્રીએ તેનું ઇ-ભૂમિ પૂજન પણ કરી નાખ્યું હતું. બસ હવે ઓરડાઓના નિર્માણમાં આવો જ ઉત્સાહ દાખવવામાં આવે તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે.