ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદમાં તંત્ર સફાળુ જાગ્યું છે. AMCએ શહેરની ફાયર સેફ્ટીની મંજૂરી વિનાની 3 હાઇરાઇઝ બિલ્ડિંગોને સીલ કરી દીધી છે.
અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે AMCની મોટી કાર્યવાહી
ફાયર સેફ્ટીની મંજૂરી વિનાની 3 બિલ્ડિંગો AMCએ સીલ કરી
નોટીસ પાઠવ્યા છતાં પણ ફાયર સેફ્ટી ન લગાવતા કાર્યવાહી
અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે મનપા (મ્યુનિસિપલ કોર્પોરેશન) એ કડક કાર્યવાહી કરી છે. AMCએ શહેરમાં ફાયર સેફ્ટીની મંજૂરી વિનાની 3 બિલ્ડીંગો સીલ કરી દીધી છે. 3 હાઇરાઇઝ બિલ્ડીંગો મનપા દ્વારા સીલ કરવામાં આવી છે. શહેરના શાહપુરમાં આવેલું પુષ્કર ટાવર, મણીનગરમાં આવેલું ટ્રેડ સ્ક્વેર અને થલતેજની હોટલ કેમ્બે ગ્રાન્ડ મનપા દ્વારા સીલ કરવામાં આવી છે. નોટિસ પાઠવ્યા છતાં આ 3 હાઇરાઇઝ બિલ્ડીંગોએ ફાયર સેફ્ટી ન લગાવતા મનપાએ કડક કાર્યવાહી કરી છે. ફાયર NOC મેળવવા માટેની મુદ્દત પુર્ણ થતા મનપાએ કાર્યવાહી હાથ ઘરી. આગામી દિવસોમાં પણ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાશે.
હાઇકોર્ટે NOC વગરની ઇમારતો સીલ કરવા AMCને હુકમ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈને હાઇકોર્ટે મોટો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે NOC વગરની ઇમારતો સીલ કરવા AMCને હુકમ કર્યો હતો. અમદાવાદમાં કેટલીય ઇમારતો અને રહેણાંક મકાનો પાસે ફાયર NOC ન હોવાનું મનાઈ રહ્યું છે. આથી હાઇકોર્ટના આદેશ બાદ ફાયર સેફ્ટી નહીં રાખનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પરંતુ તેમ છતાં હજુય કેટલીક ઇમારતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના લીધે AMCએ ગઇકાલે શહેરની ફાયર સેફ્ટી વિનાની 3 હાઇરાઇઝ બિલ્ડીંગોને સીલ કરી દીધી છે.
હાઇકોર્ટની ટકોર બાદ AMC ફાયર વિભાગે 247 બિલ્ડીંગને ફટકારી હતી નોટિસ
હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મહાનગરપાલિકા ફાયર સેફ્ટી મામલે જાગી ગઇ છે. હાઈકોર્ટની ટકોર બાદ AMCના ફાયર વિભાગે 247 બિલ્ડીંગને નોટિસ ફટકારી હતી. જેમાં વસ્ત્રાપુરનું ઈન્દ્રપ્રસ્થ ટાવર, નારણપુરાનો સમર્પણ ટાવર, મેમનગરનું નારાયણ એક્ઝોટિકા અને સહજાનંદ એપાર્ટમેન્ટ, થલતેજનો સ્ટેટ્સ ટાવર અને વૈષ્ણોદેવીનું શાલિગ્રામ લેક વ્યુ સામેલ છે. ઉપરાંત શહેરના પોષ વિસ્તારની હાઈરાઇઝ બિલ્ડીંગ્સમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. જેથી ફાયર વિભાગે 10 દિવસની અંદર ફાયર સેફ્ટી રીન્યુ કરવા નોટિસ ફટકારી હતી.