કોરોના વાયરસનું વિષચક્ર વિશ્વભરમાં ફેલાઈ રહ્યું છે, ત્યારે દેશમાં લોકડાઉનમાં રાહતો બાદથી સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. એક જ દિવસમાં દસ-દસ હજાર કેસ સામે આવી રહ્યા છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને રાહતના સમાચાર આપ્યા છે.
WHOએ કહ્યું જે વિચાર્યું હતું તેના કરતા સારી સ્થિતિ
ખૂબ ગીચ વસ્તી હોવા છતાં કોરોનાની ઓછી અસર : WHO
ભલે બે લાખ કેસ હોય પણ ભારત માટે તે ઓછા જ કહેવાય
WHOએ કહ્યું કે અમે ભારતમાં કોરોના વાયરસને લઈને જે પ્રકારનો અંદાજ લગાવ્યો હતો તેનાથી ખૂબ સારી સ્થિતિ છે. નોંધનીય છે કે ભારતમાં લગભગ સાડા છ હજાર લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં સંખ્યા દર ત્રીજા અઠવાડિયે બમણી થઇ રહી છે જોકે ભારતમાં કોરોના વાયરસની અસર એવી નથી વર્તાઈ જેવો અંદાજ લગાવવામાં આવ્યો હતો. ઈમરજન્સી ટીમના ડૉ. માઈક રાયને અખ્યું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ખૂબ ગીચ વસ્તી હોવા છતાં કોરોના વાયરસનો ખૂબ જ ઓછો અસર જોવા મળી રહ્યો છે જોકે ખતરો હજુ પણ યથાવત્ છે.
WHOની પ્રમુખ વૈજ્ઞાનિક ડૉ. સોમ્યા વિશ્વનાથને કહ્યું કે ભારતમાં ભલે બે લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોય પરંતુ એક અબજ ત્રીસ કરોડની વસ્તી ધરાવતા દેશમાં અ વધારે ન કહેવાય.
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. દેશમાં કોરોનાનો કુલ આંક 2,37, 287 થયો છે. આ સાથે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 9887 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં 294 લોકોના મોત થયા છે. દેશમાં 1,15,942 એક્ટિવ કેસ, 1,14,072 ડિસ્ચાર્જ કેસ અને 6642 દર્દીઓના મોત થયા છે.