આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ૧૮ જિલ્લામાં રૂપિયા ૪૭૦ કરોડના ખર્ચે ૨૯૫ રસ્તાઓના કામો મંજૂર
રોડ અને રસ્તાના 470 કરોડના કામો મંજૂર
18 જિલ્લામાં 295 રસ્તાનાં કામો મંજૂર
વરસાદથી વિખૂટા પડેલા ગામોના કરોડોના કામ મંજૂર -પૂર્ણેશ મોદી
દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.આઝાદીના 75 વર્ષને લઇને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજ્યમાં 18 જિલ્લાઓમાં 470 કરોડના 295 રસ્તાનાં કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા છે. આ ઉપરાંત વરસાદથી વિખૂટા પડેલા ગામોના પણ કરોડોના કામ મંજૂર કરવામાં આવ્યા છે.
સુરતમાં 70 કરોડના ખર્ચે હાઇ લેવલ બ્રિજ બનાવાશે
વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં સુરત જિલ્લામાં હાઇ લેવલ બ્રિજ બનાવવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે સુરત જિલ્લાના ડૂબાબ, કડોદ, કોમાડી કોઝ વે પર રૂપિયા ૭૦ કરોડના ખર્ચે હાઈલેવલ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેનાં કામો આગામી સમયમાં હાથ ધરાશે. આ નવીન બ્રિજના પરિણામે ડાંગ, તાપી, વ્યારા, સુરત અને નર્મદા જિલ્લાના નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો થશે અને નાગરિકોના સમયની બચત માટે ટ્રાફિકનું ભારણ ઘટશે. આ બ્રિજ બનવાથી બારડોલી તાલુકાના ૨૧ માંડવીના ૧૫અને વ્યારાના પાંચ ગામને સુવિધાઓ મળશે.
વિખૂટા પડેલા ગામોનો કરાશે વિકાસ
મંત્રી પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન વરસાદના કારણે જે ગામડાઓ વિખૂટા પડી જાય છે તેવા ગામ માટે રૂપિયા ૪૬૧ કરોડના ખર્ચે ૨૯૫ કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા છે જે આગામી 3 માસમાં શરુ કરવામાં આવશે.