રાજ્યમાં રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, તો કેટલીક વખત બેદરકારીના કારણે પણ લોકો મોતના ભોગ બને છે. ત્યારે શનિવાર ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ગોઝારો સાબિત થયો હતો. વહેલી સવારથી જ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હતી અને મોડી સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં દુર્ઘટનાઓ સર્જાઇ હતી. ત્યારે આ દુર્ઘટનાઓમાં કુલ 28 લોકોના મોત થયા છે. જેમાં 20 લોકોના ગુજરાતની દુર્ઘટનાઓમાં મોત થયા છે જ્યારે 8ના મહારાષ્ટ્રમાં મોત થયા છે.
અકસ્માત કે બેદરકારી?
કંપનીઓમાં થતા મોત પાછળ કોણ જવાબદાર
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શનિવાર ભારે સાબિત થયો
વડોદરાના ગવાસદ ગામમાં એમ્સ કંપનીમાં બ્લાસ્ટ 8ના મોત
વડોદરાના ગવાસદ ગામમાં એમ્સ કંપનીમાં બ્લાસ્ટ થયો જેમાં કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. જોકે બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. આથી FSLની ટીમ જે રિપોર્ટ આપશે તે મુજબ પોલીસ કાર્યવાહી કરશે. કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. હાઈડ્રોજન, ઓક્સિજન અને નાઈટ્રોજનનુ રીફીલીગ કરાતુ હતુ. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. જિલ્લા પોલીસ વડાએ આ સમગ્ર મામલે તમામ બાબતોની તપાસ કરવાની બાંહેધરી આપી છે.
જૂનાગઢના વિસાવદર નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25થી વધુ લોકોને ઇજા પહોંચી છે. વિસાવદરથી ધારી રોડ પર બસ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસના બે ભાગ થઇ ગયા હતા. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ડ્રાઇવર નશાની હાલતમાં હતો.
દાહોદમાં ત્રિપલ અકસ્માતની ઘટના, એક જ પરિવારના 3 લોકોના મોત
દાહોદના કોળીમોવડી-લીમડી હાઇવે પર ટ્રક, બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના મંડલીકપુર ગામ પાસે કાર સળગવાથી કારચાલકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. રમેશ વાજા નામના કારચાલકનું કાર સળગી જવાથી મોત થયું છે. રસ્તાની સાઈડમાં ઉભેલી એક સ્વીફ્ટ કારમાં અચાનક આગ ફાટી નિકળે છે અને જોતે-જોતામાં કાર એટલી હદે આગ પકડી લે છે કે, કારમાં સવાર વ્યક્તી બહાર નિકળી શક્તો નથી. જીવતા-જીવત આગમાં હોમાઈ જાય છે. વ્યક્તિ બહાર નિકળવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ આગ એટલી ભયાનક હતી કે, લોકો બાજુમાં હોવા છતાં તેને બહાર નિકાળી ન શક્યા. આ દુર્ઘટનામાં કારમાં સવાર રમેશ વાજા નામના ચાલકનું મોત થયું છે. જો કે કારમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સુરતઃ હીટ એન્ડ રનની ઘટના, એકનું મોત
સુરતના ડુમ્મસ રોડ પર ફરી એક વખત હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડુમ્મસ રોડ પર મોડી રાત્રે બાઈક પર સવાર દંપતિને કાર ચાલકે અડફેટે લીધી હતી. આ અકસ્માત કરીને કાર ચાલક ફરાર થયો હતો. અકસ્માતમાં બાઈક સવાર પત્નીનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ. જ્યારે બાઈક પર સવાર પતિને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતની જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
ધાનેરા નજીક બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અમદાવાદથી બાડમેર જતી ખાનગી બસનો ધાનેરાના સામરવાડા ગામ પાસે ડમ્પર અને ખાનગી બસનો અકસ્માત થયો હતો. જેમાં એક મુસાફરનું મોત થયું હતું જ્યારે 10 લોકોને ઈજાઓ પહોંચી હતી.
મહારાષ્ટ્રઃ કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ, 8ના મોત
પાલઘરની આ ફેક્ટરીમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો હજુ ફંસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. પાલઘરના SPએ 8 લોકોના મોત થયાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી અનુસાર, મુંબઇથી 100 કિમી દુર બોઈસરમાં MIDC વિસ્તારમાં આ ફેક્ટરી આવેલી છે. વિસ્ફોટ સાંજે અંદાજિત 7.30 વાગ્યે થયો. આ વિસ્ફોટની તીવ્રતા એટલી હતી કે 15 કિમી સુધી આનો અવાજ સંભળાયો હતો. ફેક્ટરીનું નામ હજુ સુધી જાણ નથી શકાયું. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.