શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે સમગ્ર ગુજરાત અને અમદાવાદમાં હાર્ટ એટેકના વધતા જતા કેસને લઇને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. EMRI 108ને દર આઠ મિનિટે તાત્કાલિક મદદ માટે કોલ આવતા હતા.
ફુલ ગુલાબી ઠંડી વચ્ચે લોકોમાં વધ્યું હાર્ટ એટેકનું જોખમ
છેલ્લાં 2 જ મહિનામાં સમગ્ર ગુજરાતમાં 28 % નો વધારો
દર્દીઓને મારી સલાહ કે ઠંડા વાતાવરણમાં બહાર જવાનું ટાળવું: ડૉ. તેજસ પટેલ
ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. ત્યારે એવામાં ધીરે-ધીરે હાર્ટ એટેકના કેસો પણ સતત વધી રહ્યાં છે. ત્યારે EMRI 108 એમ્બ્યુલન્સ દ્વારા હેન્ડલ કરાયેલા હેલ્થ ડિસ્ટ્રેસ કૉલ્સ અનુસાર, અમદાવાદમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના બે મહિનામાં હાર્ટ સંબંધિત ઇમરજન્સી કેસમાં 38%નો વધારો જ્યારે રાજ્યભરમાં 28% નો ભયજનક વધારો નોંધાયો છે.
અમદાવાદમાં છેલ્લાં 2 જ મહિનામાં હાર્ટ એટેક 3,211 કેસ નોંધાયા
અમદાવાદમાં 1 ડિસેમ્બર, 2021થી 25 જાન્યુઆરી, 2022 સુધીના 2,330 કેસોની તુલનાએ આ શિયાળાની સિઝનમાં 3,211 કેસ નોંધાયા છે. જેમાં 38% નો વધારો નોંધાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં છેલ્લાં 2 મહિનામાં જ હાર્ટ એટેકના કેસમાં 7,973થી 10,207 સુધી એટલે કે 28%નો વધારો નોંધાયો છે. ત્યારે ગણતરીથી એવું જાણવા મળી રહ્યું છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન, EMRI 108ને દર આઠ મિનિટે ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ માટે કોલ આવતા હતા.
શિયાળામાં તેઓ એક દિવસમાં જ 8થી 10 જેટલી સર્જરી કરી રહ્યાં છે: ડૉ. અનિલ જૈન
Epic Hospitalના કાર્ડિયાક સર્જન ડૉ. અનિલ જૈને જણાવ્યું હતું કે, ''આ શિયાળામાં તેઓ એક દિવસમાં લગભગ 8થી 10 જેટલી સર્જરી કરી રહ્યાં છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે.''
દર્દીઓને મારી સલાહ કે ઠંડીમાં બહાર જવાનું ટાળવું: ડૉ. તેજસ પટેલ
Apex હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે આ સમય દરમિયાન તેઓને એનજાઇના અને રક્ત પરિભ્રમણની સમસ્યા થાય છે. ઘણીવાર, નાગરિકો આ સમયગાળા દરમિયાન સવારમાં ચાલવા કે કસરત કરવા જતા હોય છે. પરંતુ હું મારા દર્દીઓને એવી સલાહ આપીશ કે જ્યારે બહારનું વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય ત્યારે બહાર જવાનું ટાળવું. સૂર્યોદય બાદ કસરત કરવાની હું ભલામણ કરું છું. કારણ કે ઠંડીના કારણે સ્વસ્થ લોકોની ધમનીઓ પણ સંકુચિત સાંકડી થઈ શકે છે.'
બાળકોમાં પણ વધ્યું હાર્ટ એટેકનું જોખમ
ડૉક્ટર રાજેશ તેલીએ જણાવ્યું હતું કે, જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ Exercise Treadmill Checkup કરાવવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. જેથી એકાએક હાર્ટ એટેક કે અચાનક મૃત્યુનો સામનો ન કરવો પડે.
કેવાં બાળકોને આવી શકે છે હાર્ટ એટેક?
સામાન્ય રીતે નાની ઉંમરના બાળકો હાર્ટ એટકનો બનાવ જોવા મળતો નથી. બાળકોમાં 0.1 ટકા અને એડલ્ટમાં 2થી 3 ટકા કેસ જોવા મળે છે.પણ બાળકોના અપવાદ રૂપ કિસ્સા હોય છે.જેમ કે જે બાળકનો હર્દયનો વાલ્વ પહેલેથી જ નબળો હોય અથવા તો હ્રદયની નીચેનો પડદો જાડો થઈ ગયો હોય અથવા હ્રદયને લગતી અન્ય તકલીફ હોય એવાં બાળકોમાં હાર્ટ એટેક આવે એવું કદાચ જોવા મળી શકે છે. ત્યારે બની શકે કે શિયાળામાં ઠંડીના કારણે આવાં બાળકોને હાર્ટ એટેક આવી શકે.
આપણે નાની ઉંમરથી બાળકોમાં જે તણાવ આપી રહ્યાં છીએ એની માટે વાલીઓ અને શિક્ષકોએ આમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવાનો છે. અત્યારના સમયમાં આપણે બાળકોમાં સ્પર્ધા ઊભી કરી રહ્યાં છીએ પરંતુ ખરેખર એવું ના હોવું જોઈએ. જેમ કે નાનપણથી જ આપણે તેની પર પ્રેશર કરતા હોઇએ છીએ કે તારે ડોક્ટર બનવાનું છે કે પછી એન્જીનિયર બનવાનું છે. ત્યારે શિક્ષણનો આવો બોજો અત્યારથી તેની પર ન આપવો જોઈએ. કારણ કે આ પ્રકારનું પ્રેશર બાળકોના માનસિક વિકાસ અને તંદુરસ્તી પર સીધી અસર કરે છે.