જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને સુરક્ષા એજન્સીઓએ સતત આતંક વિરોધી અભિયાન ચલાવ્યા હોવા છતાં પણ કાશ્મીરમાં આતંકવાદીઓની નવી ભરતીમાં કોઈ ઘટાડો થયો નથી. કાશ્મીર ઘાટીમાં હજુ પણ 273 આતંકવાદીઓ સક્રિય છે.
જમ્મુ-કાશ્મીરમાં 273 આતંકીઓ સક્રિય
સુરક્ષા એજન્સીને મળી બાતમી
આતંકવાદીઓની નવી ભરતી યથાવત
દક્ષિણ કાશ્મીરમાં જ 158 આતંકીઓ છે સક્રિય
વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલા આતંકીઓની યાદીમાંથી આ ચોંકાવનારી વાત સામે આવી છે. હાલ એકલા દક્ષિણ કાશ્મીરમાં જ સૌથી વધુ 158 આતંકીઓ સક્રિય છે, જ્યારે મધ્ય કાશ્મીરમાં સૌથી ઓછા 19 આતંકવાદીઓ તેમની ગતિવિધિને અંજામ આપી રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ બધામાં વિદેશી આતંકવાદીઓની સરખામણીએ સ્થાનિક આતંકીઓ વધારે છે.
છેલ્લા આઠ મહિનામાં 140 આતંકીઓને કરાયા ઠાર
આ વર્ષની શરૂઆતમાં પ્રશાસને કાશ્મીરમાં 270 આતંકવાદીઓ સક્રિય હોવાનું જણાવ્યું હતું, જ્યારે છેલ્લા આઠ મહિનામાં 140 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આમ છતાં પણ કાશ્મીરમાં હાલ સક્રિય આતંકીઓની સંખ્યા 273 છે, જે ખુબ ચિંતાજનક છે. હકીકતમાં કાશ્મીર ઘાટીમાં સક્રિય આતંકીઓની યાદીની સતત સમીક્ષા કરવામાં આવે છે. આ લિસ્ટમાં ફક્ત ‘એ’, ‘બી’ અને ‘સી’ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવેલા દેશી અને વિદેશી આતંકીઓની ગણતરી કરવામાં આવે છે અથવા તે આતંકીઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમને વર્ગીકૃત કરવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે.
સુરક્ષા એજન્સીઓની યાદી મુજબ સમગ્ર કાશ્મીરમાં 273 આતંકીઓ સક્રિય
સપ્ટેમ્બરના બીજા પખવાડિયાની શરૂઆતમાં સેના, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની માહિતીના આધારે તૈયાર કરવામાં આવેલા લિસ્ટ મુજબ, હાલમાં સમગ્ર કાશ્મીરમાં 273 આતંકીઓ સક્રિય છે. તેમાંથી 158 આતંકીઓ દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લાઓ - કુલગામ, અનંતનાગ, શોપિયાં અને પુલવામામાં સક્રિય છે. ઉત્તર કાશ્મીરના ત્રણ જિલ્લા બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડામાં 96 આતંકી સક્રિય છે.
આતંકીઓની નવી ભરતી ચાલુ હોવાની વાતની પુષ્ટિ
શ્રીનગર, ગાંદરબલ અને બડગામ સહિતના ત્રણ જિલ્લાઓ પર આધારિત મધ્ય કાશ્મીરમાં માત્ર 19 આતંકી સક્રિય હોવાનું જણાવાયું છે. આ યાદી મુજબ, કાશ્મીર ઘાટીમાં 166 સ્થાનિક અને 107 વિદેશી આતંકીઓ છે. સત્તાવાર રીતે પોલીસ કે સૈન્યના કોઈ અધિકારી આ વિશે કંઈ પણ બોલવા તૈયાર નથી, પરંતુ આધારભૂત સૂત્રોનો દાવો છે કે, આ લિસ્ટ કાશ્મીરમાં આતંકવાદીઓની નવી ભરતી ચાલુ જ છે એ વાતની પુષ્ટિ પણ કરે છે.
આ સંખ્યા કાશ્મીર ઘાટીમાં સ્થાનિક આતંકીઓની ભરતી અને ઘૂસણખોરી અંગેના તમામ દાવાઓ સામે પણ ગંભીર સવાલ ઊભા કરે છે. સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં તૈયાર કરેલી યાદી અનુસાર લશ્કર-એ-તોઈબાના 112, હિઝબુલ મુજાહિદ્દીનના 100, જૈશ-એ- મોહમ્મદના 58 આતંકીઓ સહિત અલ-બદરના ત્રણ આતંકીઓનો પણ હાલ કાશ્મીરમાં સક્રિય છે.