અમદવાદ શહેરમાં ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં એક હજાર જેટલા મકાનો ‘ભયજનક’ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તો જગન્નાથજીની રથયાત્રા રૂટમાં આવતા જમાલપુર, ખાડિયા, દરિયાપુર-શાહપુરના 272 જેટલા મકાનો જોખમી હાલતમાં છે.
જમાલપુર સહિત આ વિસ્તારના 272 મકાનો જોખમી
મધ્ય ઝોનમાં હજાર જેટલાં મકાન ‘ભયજનક’
આવાં મકાનનોના કારણે સર્જાઈ શકે છે દુર્ઘટના
અમદાવાદ શહેરનો કોટ વિસ્તાર ધરાવતા મધ્ય ઝોનમાં અનેક પ્રશ્નો છે. વર્ષો જૂની પાણી, ગટરની લાઇન કહો કે ગેરકાયદે મકાનો, સાંકડા રોડ વગેરેના કારણે આ ઝોનના નાગરિકો વારંવાર એક અથવા બીજા પ્રકારની મુસીબતમાં મુકાઈ રહ્યા છે. જોકે હવે મ્યુનિ. કોર્પોરેશનના સર્વે હેઠળ મધ્ય ઝોનમાં આશરે એક હજાર મકાન ભયજનક હોવાની ચિંતાજનક બાબત પ્રકાશમાં આવી છે. ખુદ તંત્રની પ્રસિદ્ધ થયેલી તાકીદની જાહેર ચેતવણીને જોતાં આવાં મકાન ટાઈમ બોમ્બ જેવાં ખતરનાક હોઈ તેનાથી લોકોના કીમતી જાન-માલ સામે ગમે ત્યારે આફત સર્જાઈ શકે છે.
જગન્નાથજીની રથયાત્રામાં ઉમટી પડે છે હજારો શ્રદ્ધાળુઓની ભીડ
જમાલપુર ખાતેના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી દર વર્ષની અષાઢી બીજે અમદાવાદની અસ્મિતા સમાન રથયાત્રા ઠાઠમાઠથી નીકળતી આવી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે તે દિવસે લોકોનાં સુખ-દુઃખથી વાકેફ થવા નિજમંદિરથી બહાર નીકળી નગરચર્યાએ નીકળતાં હોય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓની ભીડ પ્રભુનાં દર્શનાર્થે સમગ્ર રથયાત્રાના રૂટ પર ઊમટી પડે છે.
રથયાત્રા રૂટ પરનાં જોખમી મકાનોનો સર્વે
આ ઐતિહાસિક રથયાત્રા અગાઉ મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા રૂટ પરનાં જોખમી મકાનોનો સર્વે કરવામાં આવે છે. આ પણ એક પરંપરાગત સર્વેની પ્રક્રિયા બની છે, જે મુજબ દર વર્ષે રૂટ પરનાં જોખમી મકાનોની સંખ્યામાં વધ-ઘટ થાય છે. આ વખતના સર્વેમાં તંત્રના ચોપડે કુલ 272 મકાન ભયજનક હોવાનું નોંધાયું છે. જમાલપુર, ખાડિયા, શાહપુર અને દરિયાપુર વોર્ડમાં સમાવેશ ધરાવતા હતા. આ 272 ભયજનક મકાનો ચાહે તે વપરાશી હોય કે બિનવપરાશી હોય, પરંતુ સત્તાવાળાઓ દ્વારા જે તે મકાનના જર્જરિત ભાગને તત્કાળ ઉતારી લેવાની નોટિસ પાઠવાય છે. જોકે, જે તે મકાનના માલિક અને ભાડુઆત વચ્ચેના ઝઘડાના કારણે તેના રિપેરિંગનો મામલો ટલ્લે ચઢતો રહે છે. પરિણામે વરસાદ બાદ ભયજનક મકાન આખેઆખું તૂટી પડીને જાન-માલને ગંભીર નુકસાન થાય તેવા કિસ્સા પણ નોંધાય છે.
મધ્ય ઝોનમાં કુલ 1000 આવાસ ભયજનક બન્યાં
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે આ 272 મકાનને ભયજનક મકાનોમાં સામેલ તો કર્યાં જ છે, પરંતુ કુલ 15 જેટલાં વિવિધ પ્રકારનાં સ્ટાફ ક્વાટર્સને પણ ભયજનક જાહેર કરવા માટે ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા આજે ભયજનક મકાનો બાબતે તાકીદની જાહેર ચેતવણી મીડિયામાં પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં શાહપુર જૂના મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટર્સ, કિરણનગર મ્યુનિ. સ્ટાફ ક્વાટર્સ, શાહપુર ઓફિસર્સ ક્વાટર્સ, જમાલપુર સરદારબ્રિજ હેલ્થ ક્વાર્ટર્સ, જમાલપુર કાચની મસ્જિદ પાસે હેલ્થ ક્વાર્ટર્સ, શાહપુર હેલ્થ ક્વાર્ટર્સ, ગિરધરનગર હેલ્થ ક્વાર્ટર્સ, જમાલપુર નવા જે.પી. ક્વાર્ટર્સ, જમાલપુર જૂના જે.પી. ક્વાર્ટર્સ, મહેંદીકૂવા મ્યુનિ. સ્લમ ક્વાટર્સ, વાંસીવાડા સ્લમ, દરિયાખાન ઘુમ્મટ મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સ, અસારવાના એમએલએ સ્લમ ક્વાર્ટર્સ, કાંતોડિયા વાઘરીવાસ સ્લમ ક્વાર્ટર્સ અને આંબેડકર આવાસ યોજનાનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ મધ્ય ઝોનમાં કુલ 1000 આવાસ ભયજનક બન્યાં છે.
તંત્રએ લોકોને જાહેર ચેતવણી આપી
આવાં ભયજનક મકાનોમાં કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં કે વસવાટ કે અન્ય ઉપયોગ કરવો નહીં તેમજ આવાં ભયજનક જણાતાં મકાનની આસપાસ અવરજવર કરવી નહીં. આસપાસનાં મકાનોના ઉપયોગકર્તાઓએ સાવચેતી રાખવાની પણ તંત્રએ લોકોને જાહેર ચેતવણી આપી છે.
જેમ બને તેમ જલદી ભયજનક ભાગ ઉતારી લેવામાં આવેઃ રમ્ય ભટ્ટ
તો મધ્યઝોનનો હવાલો સંભાળતા ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ કહે છે કે, ભયજનક મકાનોની સંખ્યાનો ચોક્કસ આંકડો હાલમાં ઉપલબ્ધ નથી, પરંતુ તેને કે તેવા મકાનના ભયજનક ભાગને જેમ બને તેમ જલદી ઉતારી લેવામાં આવે. નહીંતર કોઈપણ જાનમાલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવાં મકાનોના કબજેદારોની રહેશે.
નોટિસ અપાઈ હોવા છતાં નથી કરાઈ કોઈ કાર્યવાહી
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા અપાયેલી આ તાકીદની જાહેર ચેતવણીમાં કેટલી જગ્યાઓમાં અગાઉ જીપીએમસી એક્ટની કલમ 264 તથા અન્ય જોગવાઈઓ મુજબ નોટિસ અપાઈ હોવા છતાં આ બાબતે જવાબદાર વ્યક્તિઓ દ્વારા ભયજનક મકાન કે તેનો ભાગ ઉતારવા કોઈ જ કાર્યવાહી કરી નથી કે કરતા નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે.