સુરતમાં યોજાએલા સમૂહ લગ્ને ખરેખર માનવતાનો દિપક જલાવ્યો છે. નાતી-જાતી, રાજ્ય, ધર્મના વાડાને પર થઈને પિતા વિહોણી 271 દીકરીઓને પ્રભુતામાં પગલા પડાવવા માટે યોજાએલ પાનેતર લગ્નોત્સવ રંગેચંગે પાર પડ્યો હતો. આ લગ્નોત્સવની ખાસિયત એ હતી કે, અહીં પાંચ દીકરીઓને તેમની ધાર્મિક વિધિ અનુસાર નિકાહ પણ કરાવવામાં આવ્યા હતા.
45 જ્ઞાતીની 271 દીકરીઓના વિવાહ
5 દીકરીઓના નિકાહ કરાવાયા
પિતા વગરની દરેક રાજ્યની દીકરીના વિવાહ
ગઈકાલે સુરતને આંગણે 271 દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી. આ તમામ દીકરીઓને પાનેતર નામના સમૂહ લગ્નમાં સામેલ કરવામાં આવી હતી. આ લગ્નમાં પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને ગુજરાતીઓએ ગર્વથી મસ્તક ઉંચુ કરી દીધુ હતુ. કોઈપણ જાતી-જ્ઞાતી ધર્મના ભેદ-ભાવ વગર તમામ દીકરીઓનો એકસરખી ભાવનાથી લગ્નોત્સવ યોજાઓ હતો.
જુદા જુદા રાજ્યની દીકરીઓએ લીધા મંગળફેરા
સુરતના મોટા વરાછા અબ્રામા ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ પિતા વિહોણી દીકરીઓના પાનેતર નામનો લગ્નોત્સવ યોજાયો હતો. બે દિવસ સમૂહ લગ્નોત્સવમાં 45 જ્ઞાતિઓની 271 દીકરીઓએ લગ્ન કર્યા હતા. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા,મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન યોજાયા હતા. આ લગ્નોત્સવમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગણપત વસાવાએ ખાસ હાજરી આપી હતી.
લગ્નની સાથે નિકાહ પણ થયા
પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા યોજાયેલા લગ્નની સાથે પાંચ દીકરીઓના નિકાહ પણ થયા હતા. એક તરફ લગ્ન થયા જ્યારે બીજી તરફ નિકાહ પણ થયા હતા. 21 અને 22 ડિસેમ્બર એમ બે દિવસ આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.