કોરોના વેક્સિન લીધા બાદ દેશમાં અત્યાર સુધી 488 લોકોના મોત થયા હોવાનું સરકારી ડેટામાં જણાવાયું છે.
કેન્દ્ર સરકારે ડેટા જાહેર કર્યા
વેક્સિન લીધા બાદ દેશમાં 488 લોકોના મોત
26 હજાર લોકોને આડઅસર થઈ
સોમવારે જાહેર થયેલા ડેટા અનુસાર, 26 હજાર લોકો પર કોરોના વેક્સિનની આડઅસર થઈ છે. આ આંકડા 16 જાન્યુઆરીથી 7 જુન સુધીના છે. દેશભરમાં 7 જુન સુધી 23.5 કરોડ લોકોને વેક્સિન અપાઈ હતી. આ દરમિયાન 26200 લોકોને આડઅસર થઈ હતી. 143 દિવસની અંદર 10 હજાર લોકોમાઁથી ફક્ત એક વ્યક્તિ પર વેક્સિનની સૌથી વધારે આડઅસર જોવા મળી હતી.
અત્યાર સુધી મળેલા આંકડા અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાની કોવિશિલ્ડ, આ બન્ને વેક્સિનમાં 0.1 ટકા આડઅસરના કેસ મળ્યાં છે. એક્સપર્ટ્સનું એવું માનવું છે કે આંકડા જોતા મોતની સંખ્યા અને આડઅસરના કેસની સંખ્યા ઘણી ઓછી છે. તેથી એક્સપર્ટ વેક્સિન લેવાની સલાહ આપે છે.
AEFI કેસો શું છે
AEFI કેસો ત્રણ પ્રકારના હોય છે. સામાન્ય અને નજીવી આડઅસરોમાં તાવ, દુખાવો તથા જે ભાગે ઈન્જેક્શન અપાયું ત્યાં સોજો જોવા મળે છે. બીજા પ્રકારમાં આડઅસરો લાંબા સમય સુધી રહેતી નથી પરંતુ પીડાદાયક હોય છે તેમાં દુખાવો તથા સોજો સામેલ છે જે નજીકના ભાગમાં પણ ફેલાય છે અને ભારે તાવ પણ આવે છે. AEFI ના ગંભીર કેસોમાં હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવે છે તેને પરિણામ દર્દીનું મોત થઈ શકે છે અથવા તો દર્દી વિકલાંગ બની શકે છે.
દેશમાં છેલ્લા 6 દિવસથી નોંધાઈ રહ્યા છે ઓછા કેસો
દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનામાં જ્યારે સમગ્ર દેશમાં ચાર લાખથી વધુ કેસો સામે આવી રહ્યા હતા, હવે આ કેસમાં સારા સમાચાર એવા છે કે આ કેસમાં એક લાખથી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે આપેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 80,834 કેસો સામે આવ્યા છે અને 3303 દર્દીઓના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આ આંકડા છેલ્લા 71 દિવસમાં નોંધાયેલા કેસોમાં સૌથી ઓછા આંકડા છે.