શ્રીલંકામાં ચાલતા પ્રદર્શનો વચ્ચે સરકાર લોકોની નારાજગી શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે 26 મંત્રીઓના સામૂહિક રાજીનામા બાદ આજે નવું મંત્રીમંડળ શપથ લઈ શકે છે.
લોકોના ગુસ્સાને શાંત કરવાનો સરકારનો પ્રયાસ
26 મંત્રીઓએ તેમના પદ પરથી રાજીનામા આપી દીધા છે
આજે નવું મંત્રીમંડળ લઈ શકે છે શપથ!
અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લોકોના ગુસ્સાને શાંત કરવા માટે નવી કેબિનેટ આજે શપથ લઈ શકે છે. આ જ પ્રયાસ અંતર્ગત રવિવારે દેશના તમામ 26 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતાં. નારાજ લોકોનું કહેવું છે કે, રાજપક્ષે સરકારની ખોટી નીતિઓના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.
PM રાષ્ટ્રપતિ સાથે કરશે બેઠક
શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્ધનેએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેબિનેટ મંત્રીઓએ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેને પોતાના રાજીનામા સુપરત કર્યા છે, જો કે તેમણે સામૂહિક રાજીનામાનું કોઈ કારણ નથી આપ્યું. તેમણે કહ્યું હતું કે, રાજપક્ષે તેમના નાના ભાઈ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે સાથે મુલાકાત કરશે.
કર્ફ્યુ હોવા છતાં પ્રદર્શન શરૂ
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, અમે દેશની સ્થિતિ વિશે વિગતવાર ચર્ચા કરી છે. ઈંધણ અને વીજળીની કટોકટી ટૂંક સમયમાં દૂર થઈ જશે. નોંધપાત્ર બાબત એ છે કે, દેશની આર્થિક સ્થિતિને ન સંભાળવા બદલ લોકોમાં સરકાર વિરૂદ્ધ રોષ છે. દેશમાં વિરોધ પ્રદર્શનને જોતા કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, તેમ છતાં રવિવારે સાંજે વ્યાપક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ સતત રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યાં છે.
જનતા રાજપક્ષે પરિવારની વિરુદ્ધ
રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે, વિદેશી હૂંડિયામણના ભંડારમાં ઘટાડો થવાના કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને સરકારના કથિત રીતે મંત્રીઓ પર તેમના ખોટા કામકાજ માટે લોકો પર ઘણું દબાણ હતું. જેના કારણે તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે લોકોની નારાજગી શાંત થવાની આશા ઓછી દેખાઇ રહી છે. કારણ કે, જનતા એવું ઇચ્છે છે કે રાજપક્ષે પરિવાર સત્તા પરનું નિયંત્રણ સંપૂર્ણપણે છોડી દે.