આજે 26/11 મુંબઈ હુમલાની વર્ષગાંઠ છે ત્યારે આ હુમલામાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થયો હતો, ત્યારે થોડા સમયથી ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ હેરાફેરીને લઇને પણ ચર્ચામાં છે.
આજે 26/11 મુંબઈ હુમલાની વર્ષગાંઠ
26/11નો હુમલો અને ગુજરાતના દરિયા કિનારાને કનેક્શન
ગુજરાતના દરિયા કિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો
દેશની આર્થિક રાજધાની મુંબઈ પર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાની આજે 13મી વરસી છે. આ હુમલામાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. અંદાજિત એટલા જ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 26 નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હુમલાના 13 વર્ષ બાદ મુંબઈ હવે સલામત જરૂર છે, પરંતુ આ હુમલાના પીડિતો આ હુમલાને યાદ કરીને આજે પણ રડી પડે છે.
26/11ના મુંબઈ હુમલા પહેલા ગુજરાતના માછીમારો બન્યા હતા આતંકવાદીઓના શિકાર
26/11નો હુમલો અને ગુજરાતના દરિયા કિનારાને કનેક્શન છે. 26/11 હુમલા સમયે આતંકીઓ દરિયા મારફતે મુંબઈ પહોંચ્યા હતા. ગુજરાતના દરિયા કિનારાના નજીકથી આતંકીઓ પસાર થયા હતા. પોરબંદરના માછીમારનું અપહરણ કરી કુબેર નામની બોટ પર કબ્જો કર્યો હતો. કુબેર બોટના ખલાસીઓ આતંકીઓના પહેલા શિકાર બન્યા હતા. જેમાં કેટલાક માછીમારોનું ગળુ કાપીને મારી નાખવામાં આવ્યા અને આ ખલાસીઓને દરિયામાં ફેંકી દેવાયા હતા. તો એક બોટ સંચાલક અને તેના સાથીને બંધક બનાવીને તે બોટને મુંબઈ સુધી લઇ જવા માટે કહ્યું. દરિયામાં જે કુબેર બોટ પર પાકિસ્તાની આતંકવાદીઓએ કબજો કર્યો હતો, તે બોટ ચાલકનું નામ રમેશ બાંમણિયા હતું. બાદમાં પાકિસ્તાની આતંકવાદી બોટથી મુંબઈ પહોંચ્યા હતા. બાદમાં રમેશ બાંમણિયાની પણ આતંકવાદીઓએ હત્યા કરી હતી. 20 વર્ષના કસાબ સહિત 10 આતંકવાદીઓ રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. ત્યારબાદ 26 નવેમ્બરની સાત્રે અંદાજિત 8 વાગ્યે તેમણે મોટા હુમલાને અંજામ આપ્યો. ત્યારે ગુજરાતનો દરિયાકાંઠો કેટલો સુરક્ષિત છે? દરિયાકિનારાની સુરક્ષા વધારવી જરૂરી કેમ? છેલ્લા 4 વર્ષમાં ગુજરાતના દરિયા કિનારે બનેલી મોટી ઘટનાઓ અંગે જાણો...
ગુજરાતનો દરિયાકાંઠો કેટલો સુરક્ષિત છે? આતંકવાદીઓથી લઇને ડ્રગ્સ માફીયા માટે પોપ્યુલર છે ગુજરાતનો દરિયાકાંઠો?
1993માં મુંબઇ બ્લાસ્ટ વખતે પણ પોરબંદર દરિયા કિનારાનો ઉપયોગ થયો હતો. પોરબંદરના ગોસાબારા ખાતે આતંકીઓના હથિયારો ઉતાર્યા હતા. ગુજરાતનો 1600 કિમીનો દરિયા કિનારો સુરક્ષાને લઈને સંવેદનશીલ ગણાય છે. ગુજરાતની દરિયાઇ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ગુજરાતના દરિયા કિનારાનો દુરઉપયોગ થઈ રહ્યો છે. વેપારની સાથે સાથે દરિયા કિનારે માદક પદાર્થોની હેરાફેરી વધી છે. ગુજરાતના દરિયા કિનારે થતી અનૈતિક પ્રવૃતિઓમાં વધારો થયો છે. દરિયા કિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. ડ્રગ્સની હેરાફેરી વધતા ગુજરાતનો દરિયા કિનારો ફરી ચર્ચામાં છે. જોકે, વધતી સ્મગલિંગને લઈને મરીન પોલીસે પેટ્રોલિંગ વધાર્યુ છે. પેટ્રોલિંગ દરમિયાન ફિશિંગ કરતી બોટનું ચેકિંગ કરાય છે. ઓળખ માટે ખલાસીઓને બાયો મેટ્રીક કાર્ડ આપવામાં આવ્યા છે. 26/11ના હુમલા બાદ સુરક્ષા એજન્સીઓની ગુજરાત દરિયા કિનારા પર વોચ વધી છે.
ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા કેટલી સખ્ત ?
ગુજરાત દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. ગુજરાત પાસે 1600 કિમીનો દરિયા કિનારો છે. દરિયા કિનારાની સુરક્ષા માટે ફક્ત 12 મરીન પોલીસ સ્ટેશન જ છે. 45 મરીન ચોકીઓ, 30 જ સ્પીડ બોટ જ છે. જ્યારે 30 સ્પીડ બોટમાંથી 500 હો.પાની 2 એન્જીનવાળી 20 બોટ છે. 275 હો.પા અને 1 એન્જીનવાળી 10 બોટ જ છે. મરીન પોલીસ સ્ટેશન વધારવા જરૂરી છે. દરિયાની જાણકારી ધરાવતા ટ્રેઇન્ડ સ્ટાફની જરૂર છે. દરિયાના આસપાસના ગામના લોકોના સંપર્ક પાકિસ્તાન સુધી છે. સ્પીડ બોટને ઓપરેટ કરવાર ટેકનીકલ સ્ટાફની કાયમી નિમણૂંક નથી થતી. તમામ સ્ટાફની 11 મહિનાના કરાર પર નિમણૂંક થાય છે.