વડોદરામાં પહેલીવાર રાજવી પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25000 ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવશે.
વડોદરામાં રણજી ક્રિકેટ મેદાનમાં રમાશે ગરબા
પેલેસ હેરિટેજ ગરબાનું કરાયું આયોજન
25,000 ખેલૈયાઓને આપવામાં આવશે એન્ટ્રી
જગતજનની માં જગદંબાની આરાધનના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના મહીનાઓ બાકી છે. ત્યારે વડોદરામાં રાજવી પરિવાર દ્વારા ગરબાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. મોતીબાગ ક્રિકેટ મેદાનના આગણે પેલેસ હેરિટેજ ગરબા યોજશે. જેમાં ખ્યાતનામ કાલકારો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવશે.
કોરોનાના નિયમના પાલન સાથે 25,000 ખેલૈયાઓને અપાશે એન્ટ્રી
વડોદરામાં રણજી ક્રિકેટ મેદાનમાં રાજવી પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોતીબાગ ક્રિકેટ મેદાન ખાતે પેલેસ હેરિટેજ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કોરોનાના નિયમના પાલન સાથે 25,000 ખેલૈયાઓ રાસ-ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે જેના ભાગરૂપે 25,000 ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે. જે અંગેના પાસનું 1 ઓગસ્ટથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવશે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે અને વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના શીતલ ભાલેરાવે કાર્યક્રમની માહિતી આપી હતી. જે આ આયોજનને લઈને ઉત્સાહિત હોવાનું જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં સચિન લીમયે અને આશિતા લીમયે ગાયક કલાકાર છે.
વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન
વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધુ ત્રણ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ હોવાનું આયોજકોએ જણાવ્યુ હતું. મિશન સમર્થ નારી, મિશન અન્નપૂર્ણા અને મિશન અમૃત આરોગ્ય. આ ત્રણ પ્રોજેક્ટમાં જે ફંડ એકત્ર થશે તેનો આ આયોજનમાં ઉપયોગ કરવામાં આવશે.તેમ વોર્ડવિઝાર્ડ ફાઉન્ડેશનના શીતલ ભાલેરાવે જણાવ્યુ હતું. નોંધનિય છે કે, કોરોનાકાળમાં છેલ્લા ત્રણ વર્ષથી ગરબાના આયોજનો થયા નથી ત્યારે હવે કોરોના કાબુમાં આવી ગયો છે અને જનજીવન રાબેતા મુજબ શરૂ થયું છે. જેને પગલે હવે તહેવારોની ઉજવણી પણ ધામધૂમપૂર્વક થઇ રહી છે. તેવામાં ટ્રેડિશનલ ગરબા માટે જાણીતા વડોદરામાં આગામી નવરાત્રી માટે ગરબાના આયોજન શરૂ થઇ ગયા છે.