શિક્ષણ કહો કે કેળવણી. ભણતર કહો કે પાયાનું ઘડતર આ બધાંનો વિધિવત પાયો પ્રાથમિક શાળામાં તૈયાર થાય છે. પરંતુ રાજ્યમાં જેટલા જોર શોરથી શિક્ષણનાં સ્લોગનો પોકારાય છે તેટલાં ઉત્સાહથી શાળાઓનું નિર્માણ થતું નથી.
જેનાં કારણે પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે શિક્ષણ મેળવવા બાળકો ઘેરથી હોંશે હોંશે તો જાય છે પરંતુ શાળા કહી શકાય તેવું ઠેકાણું તેને જડતું નથી. શાળાનાં નામે ક્યારેક તેને મંદિરનાં ઓટલે બેસવું પડે છે તો ક્યારેક કોઈ સદાવ્રતનાં હોલમાં બેસવું પડે છે.
મંદિરનાં ઓટલા પર ચાલતી આ પાઠશાળાને તમે આજથી નિશાળ જ કહેજો. સદાવ્રતનાં શેડ નીચે ભણતા આ બાળકોને તમે શાળા કેવી હોય તેવું ક્યારેય નહીં પૂછતા. ભોંય તળિયે બેઠેલાં આ બાળકોને તમે વિકાસનાં પાઠ ભણાવતા પહેલાં તેમને પાકી ફર્સનો બંધોબસ્ત કરજો. કેમ કે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જે રીતે કથળી છે તેથી વધારે સ્થિતિ શાળાનાં નામે વ્યવસ્થાની કથળી છે. નહીંતર મંદિરનાં ઓટલે ચાલતી શાળાનાં દ્રશ્યો જોવાં ન મળ્યાં હોત.
ભણે ગુજરાત અને સહુને શિક્ષણનો અધિકારનાં સરકારી સ્લોગન જાણે રાજુલા તાલુકાનાં ખેરા ગામમાં અર્થ વિહોણાં લાગી રહ્યાં છે. અહીં ખેરા ગામમાં છેલ્લાં આઠ મહિનાથી સરકારી શાળાનાં 250 જેટલાં બાળકો ગામનાં સીકોતર માતાનાં મંદિરનાં ઓટલા પર બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
આ ગામમાં આઠ મહિનાથી સરકારી શાળા પાડી નાખવામાં આવી છે કેમ કે તે જર્જરિત હતી. પરંતુ એ શાળા પાડી નખાયાં બાદ નવી શાળા બનાવવા માટેની કાર્યવાહી સરકારી ફાઈલોમાંથી બહાર નીકળી નથી.
સરકારી તંત્રને ફાઈલોનાં નિયમો જાળવવાની જેટલી ચિંતા છે તેટલી ચિંતા બાળકોનાં ખોરંભે ચડેલાં શિક્ષણની નથી. એટલે જ તો છેલ્લાં આઠ માસથી ખેરા ગામનાં બાળકો ક્યારેક ખુલ્લામાં તો ક્યારે કોઈ હોલનાં શેડનીચે તો ક્યારેક રેતાળભોંય તળિયા પર બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
ખેરા ગામમાં શાળા જર્જરિત હોવાથી પાડી નખાઈ. જેનાં કારણે એકથી આઠમાં ધોરણ સુધીની શાળાનાં અઢીસો જેટલાં બાળકો આ રીતે શાળા બહાર ભણવા લાચાર બન્યાં છે. અહીં નથી કોઇ શૌચાલયની સુવિધા કે નથી પીવાનાં પાણીની વ્યવસ્થા.
વિદ્યાર્થીઓને નથી બેંચીસની વ્યવસ્થા કે નથી સારા બ્લેક બોર્ડની વ્યવસ્થા. શાળાનાં માસ્તરો પણ ભોંય તળિયે બેસીને અભ્યાસ કરાવી રહ્યાં છે. બાળકો અને વાલીઓ જલ્દીથી સારી શાળા મળે તેવું ઈચ્છી રહ્યાં છે અને આ તરફ જિલ્લા શિક્ષણાધિકારી હંમેશા મુજબ એક પ્રકારનો જવાબ આપી રહ્યાં છે કે `મંજૂરી મળી ગઈ છે અને તાત્કાલિક કામ ચાલુ કરી દેવામાં આવશે.'
સરકાર ભણશે ગુજરાત અને સહુને શિક્ષણનાં અધિકારની વાતો કરે છે. પ્રવેશોત્સવ યોજે છે ગુણોત્સવો યોજે છે અને હવે તો એકમ કસોટી પણ શરૂ કરી છે. આ બધાં આયોજનોની જ્યાં સુધી શાળા નહીં હોય ત્યાં સુધી ચાખવા કેમ મળશે? વિદ્યાર્થીઓનાં જ નહીં સમાજનાં હિતમાં પણ બાળકોને જલ્દીથી સુવિધાયુક્ત શાળા મળે તે જરૂરી છે.