રાજ્યભરમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં લગભગ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે જમીનો પોચી પડી જતા મકાનો અને દીવાલો ધરાશાયી થવાનો સિલસિલો ચાલું જ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 23 લોકોના મોત નિપજ્યાં છે.
રાજ્યમાં મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભાગ્યે જ એવા કોઇ વિસ્તાર હશે જ્યાં વરસાદની એન્ટ્રી નહીં થઇ હોય. કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર 24 કલાકની અંદર 23 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત દિવાલ અને મકાન ધરાશાયી થવાથી થયા છે.
મોરબીમાં દિવાલ ધસી પડતા 8 લોકોના મોત
મોરબીમાં ભારે વરસાદ થતા પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે કંડલા બાયપાસ રોડ પર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની દિવાલ બાજુમાં આવેલા ઝૂંપડાઓ પર ધસી પડી હતી. જેને લઇને ઝૂંપડામાં વસવાટ કરતા મજૂરો દટાયા હતા. જેમાં 8 લોકોના મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.
અમદાવાદઃ બોપલમાં દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત
અમદાવાદમાં વરસાદી મહેર ક્યાંક કહેર પણ સાબીત થઇ છે. ધોધમાર પડતા વરસાદે શહેરમાં ચાર જીવ લીધા છે. ભારે વરસાદને પગલે મોડી રાત્રે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં સુધી ફ્લેટમાં દીવાલ ધરાશાઇ થતાં 4 લોકાના મોત થયા છે.
મોડીરાત્રે નડિયાદના પ્રગતિનગરમાં અપાર્ટમેન્ટનો બ્લોક ધરાશાયી થવાથી 4ના મોત થયા હતા. આ એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતા 8થી 10 લોકો ફસાયા હતા. જેમાંથી 4 લોકોના મોત થયા હતા. જોકે ધારાશાયી થયેલી બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડની જૂની ઇમારત છે.
વડોદરામાં દીવાલ ધસી પડવાના બે બનાવોમાં બેના મોત
વડોદરાના કલાલી વિસ્તારમાં આવેલા મનહર ફળિયામાં રહેતા મગનભાઈ વાઘેલા(ઉ.85)શુક્રવારે રાત્રે ઘરમાં સુતા હતા. તે દરમિયાન અચાનક દીવાલ તેમના પર તૂટી પડતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમનું મોત થયું હતું. બીજા બનાવમાં પાદરા તાલુકાના ગોરીયાદ ગામે ગણપત પુજાભાઈ તળપદા(ઉ.40) યુવક પર શુક્રવારે રાત્રે દિવાલ તૂટી પડતા મોત થયું હતું.
અમદાવાદઃ નાંદોલી ગામમાં દીવાલ ધરાશાયી થતા 1નું મોત
અમદાવાદના નાંદોલી ગામમાં દીવાલ ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું હતું. નાંદોલી ગામમાં આવેલી IRM કંપની દીવાલ ધરાશાયી થઇ હતી. જેમાં પ્રવીણભાઈ ચુનારા નામના યુવકનું મોત નિપજ્યું હતું.
અમદાવાદઃ કાલુપુરમાં આવેક ટંકશાળમાં મકાન થયું ધરાશાયી
અમદાવાદ શહેરમાં વધુ એક મકાન ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી. કાલુપુરમાં આવેક ટંકશાળમાં મકાન ધરાશાયી થયું હતું. આ મકાન ધરાશાયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી હતી. ત્યારે ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. બીજી બાજુ આણંદમાં યુકો બેન્કની 3 માળની ઇમારત થઇ ધરાશાયી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
પોરબંદર નાવડી ડૂબતા ત્રણ માછીમારોના મોત
પોરબંદરમાં બોટે જળસમાધી લીધી હતી. માછીમારી કરવા ગયેલી બોટે જળસમાધી લીધી હતી. પોરબંદર-સોમનાથ હોઇવે પર નવીબંદર અરબી સમુદ્રમાં ઘટના બની હતી. આસ્થા નામની હોડીએ જળ સમાધી લીધી હતી. 4 માછીમારો બોટમાં સવાર હતા જેમાંથી ત્રણ માછીમારોના મોત થયા છે. જેમાંના બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
અમદાવાદઃ BRTS બસની અડફેટે વૃદ્વાનું ઘટનાસ્થળે મોત
અમદાવાદમાં BRTS બસે વૃદ્વાને અડફેટે લીધી હોવાની ઘટના બની હતી. મણીનગર જયહિંદ ચાર રસ્તા પાસે ઘટના બની જેમાં વૃદ્ધાનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બસચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી.