કેન્દ્ર સરકારે હવાઈ માર્ગે 23 ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ જર્મનીથી લાવવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે અધિકારીઓએ આ માહિતી આપી હતી.
કોરોનાના કેસો બેફામ વધી રહ્યા છે
મોદી સરકાર પર ઓક્સિજનની વ્યવસ્થા માટે વધી રહ્યું છે દબાણ
કેન્દ્ર સરકારે જર્મનીથી ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા
મહત્વનું છે કે ભારતમાં હાલમાં કોરોના કેસોના આંકડા જેમ જેમ વધી રહ્યા છે, તેમ તેમ હોસ્પિટલોમાં ઓક્સિજન અને આઇસીયુ બેડ ખૂટી રહ્યા છે, દેશમાં હાલમાં કોરોના ઇમરજન્સી જેવી સ્થિતિ છે, એવા સમયે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જર્મનીથી 23 ઓક્સિજન પ્લાન્ટ ભારત મંગાવવામાં આવશે. હાલમાં જ્યારે કે ઘણા રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે, સરકાર ઓક્સિજનની અછત નિવારવા માટે પ્રયાસો કરી રહી છે.
પ્રતિ મિનિટ 40 લિટર અને પ્રતિ કલાક 2400 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા
આ મુદ્દે અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 40 લિટર અને પ્રતિ કલાક 2400 લિટર ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તા એ. ભારત ભૂષણ બાબુએ જણાવ્યું હતું કે આ કોરોના દર્દીઓની સારવાર કરતી સશસ્ત્ર દળ તબીબી સેવાઓ (AFMC) હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે.
બાબુએ કહ્યું, '23 મોબાઈલ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ હવાઈ માર્ગે જર્મનીથી લાવવામાં આવશે. આ કોવિડ -19 દર્દીઓની સારવાર કરતી AFMC હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટનું એક અઠવાડિયામાં હવાઈમાર્ગેથી આયાત કરવામાં આવે તેવી અપેક્ષા છે.
ભારતીય વાયુસેનાના વિમાન લાવશે આ પ્લાન્ટ
અન્ય એક અધિકારીએ કહ્યું કે જરૂરી કાગળની કામગીરી પૂર્ણ થયા બાદ ભારતીય વાયુસેનાને જર્મનીથી પ્લાન્ટ લાવવા વિમાનને તૈયાર રાખવા જણાવ્યું છે. તેમણે માહિતી આપી કે હજુ પણ વધુ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ વિદેશથી મેળવી શકાય છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતમાં કોરોના રોગચાળો સતત ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે અને ઘણા રાજ્યોમાં પથારીથી ઓક્સિજન સુધીની અછત હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઘણી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનની કમી હોવાના અહેવાલો પણ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં રેકોર્ડ ત્રણ લાખ 32 હજાર 730 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 2,263 લોકોના મોત પછી મૃત્યુની સંખ્યા એક લાખ 86 હજાર 920 પર પહોંચી ગઈ છે.