સુરતઃ છેલ્લા કેટલાક દિવસો થી ગીરની માઠી દશા બેસી હોય તેવું લાગી રહ્યું છે. ગીર જંગલ વિસ્તારની દલખાણીયા રેન્જની સરસિયા વિડીમાં કુલ 59 સિંહો માંથી 23 ના મોત થયા છે. તો 36 સિંહો સારવાર હેઠળ છે. આ પૈકી 5 સિંહોને જસાધાર અને 31 સિંહોને જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે સઘન સારવાર અપાઈ રહી છે. ત્યારે કામરેજમાં ભાજપની ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા.
આ શિબિર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહોના મોત મામલે નિવેદન આપ્યુ કે તમામ સિહોના મોત ચેપી રોગના કારણે થયા છે. જ્યારે બીજા સિંહ સુરક્ષિત છે. સિંહોને બચાવવા માટે સરકાર દ્વારા અમેરિકાથી વેક્સિન મંગાવવામાં આવી છે. સાથે જ સિંહોના મોત અંગેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવી છે.
વધુમાં સીએમ રૂપાણીએ અછતગ્રસ્ત વિસ્તારોને લઈને પ્રતિક્રિયા આપી હતી કે રાજ્યમાં જે વિસ્તારોમાં 150 મિલીમીટરથી ઓછો વરસાદ નોંધાયો છે તે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં 17 ગામોને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કચ્છના 10 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ મામલે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
દલખાણીયા રેન્જની આસપાસના સિંહોની પણ થશે તપાસ
ગીરના દલખાણીયામાં 23 સિંહોના મોત થયા છે. ત્યારે હવે સિંહના મોત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે દલખાણી જસાધાર રેન્જની આસપાસના સિંહોની પણ તપાસ કરવામાં આવશે. સિંહોની CVD કેનાઈલ ડિસ્ટેમ્પર વાયરસ બાબતે તપાસ કરવામાં આવશે. સિંહોના સેમ્પલ લઈને નેશનલ લેબોરેટરીમાં તપાસ માટે પણ મોકલવામાં આવશે.
તુલસીશ્યામ રેન્જના રબારીકામાં વધુ એક સિંહ લાપતા
ગીરના દલખાણીયામાં 23 સિંહોના મોત થયા છે. સિંહોના મોત થયા બાદ હવે તુલસીશ્યામ રેન્જના રબારીકામાથી એક સિંહ લાપતા થયો છે. બે સિંહની જોડીમાંથી એક સિંહ છેલ્લા કેટલાક દિવસથી લાપતા છે. લાપતા સિંહ શારીરિક રીતે અશક્ત હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ગાયબ થયા બાદ અત્યાર સુધી સિંહનુ લોકેશન મળ્યુ નથી. જેના કારણે વનવિભાગની ચિંતા વધી છે. સિંહ ગાયબ થતા વનવિભાગની ટીમ સિંહનો શોધવા માટે કામે લાગ્યુ છે. સિંહોના મોત થયા બાદ પણ હજી સુધી વનવિભાગવી ટીમ નિંદ્રામાં છે.