દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસે રફતાર પકડી છે, દરરોજ કોરોના વાયરસ વિવિધ રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે માનસિક અસ્વસ્થ લોકો માટેના શેલ્ટર હોમમાં એક બાદ એક 23 લોકો વાયરસની ઝપેટમાં આવી જતા હડકંપ મચી ગયો છે. આશ્રય ગૃહમાં રહેતા આશરે એક હજાર લોકો પર સંક્રમણ ખતરો મંડરાઈ રહ્યો છે.
દિલ્હીના રોહિણીમાં માનસિક રૂપથી દિવ્યાંગ લોકો માટે આશાનું કિરણ બનેલા આશ્રય ગૃહમાં એક સાથે 23 લોકોમાં કોરોના વાયરસ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. દિલ્હી સરકારનાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આ આશ્રય ગૃહ 960થી પણ વધારે લોકોનું ઘર છે જોકે આની ક્ષમતા તો 550ની જ છે.
11થી 13 વર્ષનાં બાળકો પણ ઝપેટમાં
આ શેલ્ટર હોમનાં કર્મચારીઓ અનુસાર 5થી 20 જૂનની વચ્ચે 23 લોકો કોરોના પોઝિટિવ થયા છે જેમાં 11થી 13 વર્ષનાં બાળકોનો પણ સમાવેશ થાય છે અને સાત વયસ્ક છે. આ સિવાય આ લોકોની સારસંભાળ રાખતા તબીબો પણ કોરોના પોઝિટિવ થઇ ગયા છે.
બાળકોમાં હલકા લક્ષણો દેખાયા
જોકે અહેવાલ અનુસાર બાળકોમાં ઓછા લક્ષણો જોવા મળી રહ્યા છે અને તે બધાને સુલતાનપુરી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય લોકોને અશોક વિહારમાં દીપ ચંદ બંધુ હોસ્પિટલમાં દાખલ કરવામ આવ્યા છે. શેલ્ટર હોમના સંચાલક એકે કૌશલે કહ્યું છે કે ભલે અમારા પાસે સ્ટાફની અછત છે પરંતુ સુવિધાઓ માટે બાળકોની સારસંભાળમાં લોકોને તૈનાત કરી દીધા છે.
કોરોનાએ દિલ્હીને બાનમાં લીધું
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જોકે તેટલી જ ગતિથી લોકો સાજા પણ થઇ રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ તોડી રહ્યા છે. રવિવારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 52607 પર પહોંચી ગઈ છે. આમ દિલ્હીમાં કુલ પોઝિટિવ કેસમાંથી 60 ટકા લોકો સજા થઈને ઘરે પહોંચી ગયા છે. અત્યાર સુધી 2623થી વધુ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે.