સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની આજે 220મીં જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વીરપુરમાં ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી લોકોએ વીરપુરમાં જલારામ બાપાની દર્શન કરવા માટે લાઈન લગાવી હતી.
જલારામ બાપાની આજે 220મીં જન્મજયંતિ
વીરપુરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી
'બાપા'ના હુલામણા નામથી બન્યા જાણીતા
ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં અભિજિત નક્ષત્રમાં પ્રધાન ઠક્કર અને રાજબાઇ માતાને ત્યાં પુત્રરત્નની પ્રાપ્તી થઇ નામ પાડવામાં આવ્યુ દેવજી. બાળપણથી જ ભક્તિના રંગે રંગાયેલ દેવજીને ગૃહસ્થ જીવનમાં રસ નહોતો તેથી રામની ભક્તિમાં સતત લીન રહેતા. તે રોજ રસ્તેથી પસાર થતાં યાત્રાળુઓ સંતો મહંતો અને સાધુઓની સેવામાં સતત મગ્ન રહે અને પ્રભુ ભજન કરે. દેવજી સમયાંતરે જલારામ નામથી જાણીતા બન્યા.
1872 માં વીરબાઇ સાથે કર્યા લગ્ન
નિશાળનું શિક્ષણ પુર્ણ કર્યા બાદ 1872 માં તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે થયા. જલારામના ધર્મપત્ની વીરબાઈ પણ ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું.
19 વર્ષની ઉંમરે ભોજલભગતના અનુયાયી બન્યા
19 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના અમરેલી નજીક આવેલ ફતેહપુરમાં રહેતા ભોજલરામ ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ગુરુ મંત્ર આપ્યો માળા અને શ્રીરામનું નામ આપ્યું. તેમના ગુરુના આશીર્વાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના તેમની સતત સેવા ભાવનાને કારણે કેટલાય લોકો તેમના અનુયાયીઓ બન્યા છે.
81 વર્ષની વયે દેહાવસાન
"જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો" ની જ્યોત જલાવનાર જલારામનું વિક્રમ સંવત 1937 માં 81 વર્ષની ઉંમરે રામનામનું સ્મરણ કરતા નિર્વાણ પામ્યા. આજે તેમના ગયાને કેટલોય સમયગાળો વીતી ગયો છે તેમ છતાં તેમની અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ છે.
'બાપા'ના હુલામણા નામથી બન્યા જાણીતા
"બાપા" ના હુલામણાં નામથી જાણીતા બનેલ જલારામનું રાજકોટ નજીક વીરપુર ખાતે ભવ્ય સ્મારક અને અન્નક્ષેત્ર આવેલ છે જ્યાં રોજે-રોજ હજારોની સંખ્યામાં ભાવિકો અને સાધુ-સંતો ઉમટી પડે છે. આ જગ્યામાં જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યુ હતુ. આજે મંદિરના ટ્રસ્ટ દ્વારા દરેક ભાવિકોમાંટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ સ્થળ પર જલારામ ભગત સાથે જોડાયેલી કેટલીય ચીજ-વસ્તુઓ ભાવિકોના દર્શનાર્થે મુકવામાં આવી છે. આ સ્મારકમાં જલા ભગતની હાથમાં લાકડી અને માંથે પાઘડી વાળી એક પ્રતિમા મુકવામાં આવી છે જેના દર્શન કરી ભાવિકો અનોખી અનુભુતિ કરે છે.
વિદેશમાં પણ જલારામ ભગતના મંદિર
આ જગ્યાએ કોઇપણ પ્રકારની ભેટ-સોગાદ કે દાન-દક્ષીણા સ્વીકારવામાં આવતી નથી. તેમ છતાં અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત ચાલી આવે છે. રાજકોટથી વીરપુરનું અંતર આશરે 60 કિલોમીટર જેટલું છે. જલારામ ભગતના ભારત બહાર પણ મંદિરો આવેલા છે જેમાં પૂર્વ આફ્રિકા યુનાઇટેડ કિંગડમ સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યુઝિલેન્ડ મુખ્ય છે.