ટેલિકોમ કંપનીની બેલેન્સમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતાં આરોપીની રાજકોટ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આરોપી દેવાંગ ચુડાસમાએ મોબાઈલ રિચાર્જના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી લોકો સાથે 28 કરોડની છેતરપિંડી કરી છે. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરી રહી તપાસ શરૂ કરી છે ત્યારે શું છે આ સમગ્ર મામલો?
રાજકોટમાં મોબાઈલ રિચાર્જના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરનાર 22 વર્ષીય દેવાંગ ચુડાસમાની પોલસે ધરપકડ કરી વધુ તપાસ કરતાં અનેક ચોંકાવનારી વિગત સામે આવી છે. દેવાંગે 28 કરોડની છેતરપિંડી કરી છે. મોબાઇલ રિચાર્જ કૌભાંડ મામલે DCP મનોહરસિંહ જાડેજાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 28 કરોડની છેતરપિંડી આચરનાર દેવાંગ ચુડાસમાની ધરપકડ કરાઈ છે. દેવાંગે એક એપ ડેવલોપ કરી છે. દેવાંગના તમામ બેન્ક એકાઉન્ટ પોલીસે સિલ કર્યા છે. દેવાંગની તમામ મિલકત પોલીસ ટાંચમાં લેશે. દેવાંગની ઉંમર માત્ર 22 વર્ષની છે. આરોપીએ મોબાઈલ રિચાર્જની એપ બનાવી હતી. જેમાં ઇન્વેસ્ટરોને કમિશનની લાલચ આપી હતી. 4થી 6 ટકાનું કમિશન આપતો હતો. રોકાણકારો બોટાદ અને રાજકોટના હોવાનું ખુલ્યું છે. દેવાંગ એરટેલમાં કામ કરતો હતો. દેવાંગ બે એકાઉન્ટ ધરાવે છે. વ્યક્તિગત ખાતામાં 5 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. દેવાંગની કંપનીના ખાતામાં 12 કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે.
એક સમયે એવું થયું કે દેવાંગે કમિશન આપવાનું બંધ કરી દીધું અને...
દેવાંગે અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની હકીકત સામે આવી છે. જેમાં બોટાદના તરઘરા ગામે રહેતા પ્રદીપ અનકભાઇ ખાચરે પોલીસને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના જામનગર રોડ પરના શ્રીપાર્કમાં રહેતા દેવાંગ નીતિન ચુડાસમાનું નામ આપ્યું હતું. પ્રદીપ ખાચરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે બોટાદમાં વહાણવટી ટેલિકોમ નામે મોબાઇલ રિચાર્જનો ધંધો કરે છે. ધંધાના વિકાસ માટે રાજકોટના કોઠારિયા રોડ પર રહેતા અને મોબાઇલ રિચાર્જનું કામ કરતા તેના મામાના પુત્ર હિતેષ કોટીલા પાસે આવ્યા હતા. તેણે આ ધંધાના જાણકાર હરિહર ચોકમાં પૂજા કોમ્પ્લેક્સમાં જલારામ રિચાર્જ નામે ઓફિસ ધરાવતા દેવાંગ નીતિન ચુડાસમા સાથે પરિચય કરાવ્યો હતો. હાર્દિકે તરઘરાના યુવકને કહ્યું હતું કે, પોતે જલારામ રિચાર્જ નામે ધંધો કરે છે અને આ કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો 4 ટકા કમિશન આપશે જેથી પ્રદીપે રૂ.3.50 લાખનું રોકાણ કર્યું હતું. દેવાંગ કમિશન પણ બેંક ખાતામાં ચૂકવતો હતો. ત્યારબાદ પોતાનો ધંધો વિકસ્યો હોવાનું અને નીયો ટેલિકોમમાં રોકાણ કરવાનું અને 5 ટકા કમિશનનું કહેતા પ્રદીપે 18,52,183નું રોકાણ કર્યું હતું. તેનું પણ કમિશન ચૂકવ્યું હતું. દેવાંગે વિશ્વાસ જીત્યા બાદ ઓઇએન કંપની ચાલુ કર્યાનું કહી અને તેમાં 6 ટકા કમિશનની લાલચ આપતાં પ્રદીપે ફરીથી 65.75 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ આ વખતે દેવાંગે કમિશન આપવાનું બંધ કર્યું હતું. કમિશન બેંક ખાતામાં જમા નહીં થતાં પ્રદીપે રાજકોટ આવી તેના મામાના પુત્રને જાણ કરતા તેને દેવાંગ અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ઓફિસને તાળાં મારી જતા રહ્યાની જાણ થઇ હતી.
આરોપી વિદેશ ફરાર થવાની ફિરાકમાં હતો
મોબાઇલ રિચાર્જમાં ઊંચા વળતરની લાલચે કરોડોનું કૌભાંડ આચરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ દબોચી લીધો હતો. આરોપીએ મોબાઇલ રિચાર્જમાં ઊંચા વળતરની લાલચે 25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હતું. તે વિદેશ ફરાર થવાની ફિરાકમાં હતો. ત્યારે ક્રાઇમ બ્રાંચ અને SOGએ આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીએ કૌભાંડના રૂપિયાનું રોકાણ કરી દીધું હોવાનું પણ સામે આવ્યું છે.
હાલ તો પોલીસે દેવાંગની ધડપકડ કરી તપાસ શરૂ કરતાં દેવાંગે રોકાણના બહાને 40થી વધુ લોકો પાસેથી રૂ.25 કરોડથી વધુ જેવી રકમ ઉઘરાવ્યાની શંકા સેવાઇ રહી છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ કેટલા લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને સમગ્ર મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે? તે મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.