ગુજરાતમાં અત્ર-તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે ક્યાંક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે તો ક્યાંક લોકોની ગાડીઓ તણાઇ ગઇ છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી
રાજ્યમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં
ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ગામડા સંપર્ક વિહોણા
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ 22 ઇંચ વરસાદથી છોટાઉદેપુરના બોડેલીમાં ભારે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે. કપાસ, કેડ, ટામેટી, મરચી, પપૈયાના પાકને ભારે નુકશાન થયું છે. જ્યારે નવા ટીમબરવા, ચલામની અને વંધાના ખેડૂતોમાં પાણી ભરાઇ ગયા છે. એ સિવાય ફેરકુવા, મોરા ડુંગરી અને બગલીયાના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા છે. આથી, ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગણી કરી છે.
નર્મદાના ડેડીયાપાડામાં પણ 16.5 ઈંચ વરસાદ વરસ્યો
આ સિવાય રાજ્યમાં સવારથી જ 157 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ત્યારે નર્મદાના ડેડીયાપાડામાં પણ 16.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરપાડામાં 14.5 ઈંચ, તિલકવાડામાં 11 ઈંચ વરસાદ, નાંદોદમાં 10.5 ઈંચ, કપરાડામાં 7.5 ઈંચ વરસાદ, ગરૂડેશ્વરમાં 5.5 ઈંચ, સાગબારામાં 5.5 ઈંચ વરસાદ, ડાંગમાં 5.5 ઈંચ, વાપીમાં 4.5 ઈંચ, ઉચ્છલમાં 4.5 ઈંચ, ધરમપુરમાં સવારથી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડમાં 4 ઈંચ, સોનગઢમાં 4 ઈંચ અને વઘઈમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો.
જ્યારે પારડીમાં 2 ઈંચ, ખેરગામમાં 2 ઈંચ, નસવાડીમાં 2 ઈંચ, ટંકારામાં 2 ઈંચ, વાંસદામાં 2 ઈંચ, તલોદમાં 1.5 ઈંચ, ભરૂચમાં 1.5 ઈંચ, ગીર ગઢડામાં 1.5 ઈંચ, દસક્રોઈમાં સવા ઈંચ, સાણંદમાં સવા ઈંચ, ઉનામાં સવા ઈંચ, ઝઘડીયામાં સવા ઈંચ, હિંમતનગરમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો. તો તારાપુર, ગણદેવી, મહુવા અને ચિખલીમાં પણ એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલીયા, ડભોઈ, રાપર, વઢવાણ, માળીયા અને કલોલમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાત ઉપર હવે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ છેલ્લ ચારેક દિવસથી રાજ્યભરમાં વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના 207 જેટલી યોજનાઓમાં તા. 11 જુલાઈ, 2022ના રોજ 40.24 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમા 1,51,586 એમસીએફટી પાણીનો જળસંગ્રહ થયો છે. જે કુલ સંગ્રશક્તિના 45.37 ટકા છે.
206 જળાશયોમાં 2,24,287 એમસીએફટી જળસંગ્રહ થયો
પાણી પુરવઠા વિભાગના ફ્લડ સેલ દ્વારા જણાવ્યાનુસાર 11 જળાશયો 100 ટકા કે તેથી વધુ, 18 જળાશયો 70થી 100 ટકા, 25 જળાશયો 50 ટકાથી 70 ટકા (સરદાર સરોવર સહિત), 101 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.
રાજ્યમાં થયેલ વરસાદને પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ ધરાવતા 11 જળાશયો તેમજ 90થી 100 ટકાના જળસંગ્રહ ધરાવતા 2 જળાશયો મળી કુલ 13 જળાશયો હાઈએલર્ટ ઉપર, 80થી 90 ટકા જળસંગ્રહ સાથે 8 જળાશયો એલર્ટ પર તથા 70 થી 80 ટકા ભરાયેલા 7 જળાશયો માટે સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જૂલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે રાજ્યના અનેક ભાગમાં 10થી 15 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તો વળી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 5થી 10 ઇંચ સુધી વરસાદ પદે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.