ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ ભરવામાં આવશે.
રાજ્યના કૃષિ અને કામધેનુ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા ભરાશે
વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ ભરવામાં આવશે
કુલપતિઓની બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યની 4 કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2191 જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. આ અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. તેના ભાગરૂપે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
ગત 14 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલ બેઠકમાં સત્વરે આ ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. આ બેઠકમાં ચાલુ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલીટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કુલ 2197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશેઃ કૃષિ મંત્રી
તેમણે ઉમેર્યું કે, રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની 853 અને બિન શૈક્ષણિક સંવર્ગની 1344 જગ્યાઓ મળી કુલ 2197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાશે. જેથી રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી વેગવંતી બનશે, ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, રોપા, કલમો વિગેરે સરળતાથી ઉપલબ્ધ થશે તથા ખેડૂતોને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ આવશે. બેઠક દરમિયાન કૃષિ મંત્રીએ કૃષિ યુનિવર્સિટીઓને ખેડૂત અને ખેતીના હિતને લઈને સઘન પ્રયત્નો હાથ ધરી સંશોધનો કરવા ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.