રાજકારણમાં વંશવાદ મુદ્દે મચેલા રાજકીય હંગામા વચ્ચે છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના રોચક ટ્રેન્ડ
ઇલેક્શન ડેસ્ક (અમિતકુમાર નિરંજન):વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદ મુદ્દે કરેલી એક ટિ્વટ બાદ આ મુદ્દે જોરદાર ચર્ચા શરૂ થઇ ગઇ છે. ભાસ્કરે આ મુદ્દે સઘન તપાસ કરી તો એક વાત સ્પષ્ટ રીતે ઊભરીને સામે આવી કે દેશના રાજકારણમાં રાજવી (કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક રિસર્ચમાં એ નેતાઓને રાજવી નેતા કહેવાયા છે કે જેમના પરિવારમાંથી કોઇ ને કોઇ સભ્ય ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય રહ્યા હોય) જ પ્રભાવી છે. જો આપણે 21મી સદીમાં થયેલી 3 લોકસભા ચૂંટણી (2004, 2009 અને 2014)ની વાત કરીએ તો એ તથ્ય ઉભરીને સામે આવે છે કે આ સદીમાં એક ચતુર્થાંશ સાંસદ એવા જીત્યા છે કે જેમનો સંબંધ કોઇ ને કોઇ રાજકીય પરિવાર સાથે રહ્યો છે. રાજવી સાંસદોમાં તેમની સંખ્યા માત્ર 10 % છેલ્લી ત્રણ ચૂંટણી જોઇએ તો 1611 સાંસદમાંથી 390 (24%) રાજવી ચૂંટાયા. એટલું જ નહીં, તમામ પક્ષોએ બેઠકો વધારવા આ રાજવીઓને ભરપૂર ટિકિટો આપી. ચોંકાવનારી વાત એ છે કે 21મી સદીમાં એક પણ રાજવી સાંસદ અપક્ષ તરીકે જીતી શક્યા નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના રિસર્ચ મુજબ 21મી સદીમાં અંદાજે 25% સાંસદોના પરિવારની પૃષ્ઠભૂમિ રાજકારણ સાથે જોડાયેલી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આઝાદી પહેલાં જે શાહી પરિવાર એટલે કે રાજા-મહારાજા, જાગીરદાર અને જમીનદાર વર્ગ તરીકે ઓળખાતા હતા તેમાંથી માત્ર 3 ટકા સાંસદ તેમની સાથે સંબંધ ધરાવે છે. કુલ રાજવી સાંસદોમાં તેમની સંખ્યા માત્ર 10 % જ છે. આ મામલે નિષ્ણાતોના મત જુદા-જુદા છે. ચૂંટણી વિશ્લેષણ કરતી સંસ્થા સીએસડીએસના નિયામક સંજય સિંહ કહે છે કે કોઇ સાંસદ ભલે રાજકીય રાજવી પરિવારમાંથી હોય પણ તેમને ચૂંટે છે તો જનતા જ. કોઇ પણ સાંસદ માત્ર રાજવી હોવાના કારણે વારંવાર ચૂંટણી જીતી શકતા નથી. તેણે કોઇ પણ સંજોગોમાં કામ કરવું જ પડશે. એડીઆરના જગદીપ છોકર કહે છે કે રાજવીઓને ટિકિટ ન આપવી જોઇએ, કેમ કે તેઓ વર્ચસ્વનો ઉપયોગ કરે છે.