ભારતીય જનતા પાર્ટીનો ઈતિહાસ રહ્યો છે, હિન્દુત્વને ચૂંટણીનો મુદ્દો બનાવવો. અયોધ્યા રામ મંદિર આંદોલનથી ફર્શથી અર્શ પર પહોંચેલ પાર્ટી 2022માં પણ ફરીવાર મંદિરો પર વોટ લેવા માટે રણનીતિ પર કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
મથુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ
ઉત્તર પ્રદેશનાં મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં ઈદગાહને સોંપી દેવા મામલે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલ હુંકાર બાદ સમગ્ર વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. બે હજાર જેટલા જવાનોને સુરક્ષા માટે મંદિર અને ઈદગાહની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા અને ઘણા બધા હિન્દુ નેતાઓને નજરબંધ પણ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કેટલાક સંગઠનોએ જાહેરાત કરી હતી કે 6 ડિસેમ્બરે જ ઈદગાહમાં જઈને શ્રીકૃષ્ણનું જળાભિષેક કરવામાં આવશે, જે બાદ આખા વિસ્તારમાં કેટલાક દિવસ સુધી તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું. જોકે બાદમાં સમજાવટ બાદ પ્રતિક સ્વરૂપે દિલ્હીમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો.
અયોધ્યાએ ભાજપને 2થી 282એ પહોંચાડી, હવે મથુરા પર પાર્ટીની નજર?
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ આંદોલન ભારતના ઈતિહાસમાં ખૂબ મોટો મુદ્દો રહ્યો છે, આડવાણીનાં નેતૃત્વમાં સોમનાથથી નીકળેલી યાત્રાથી લઈને કારસેવકોની હત્યા અને આખરે કોર્ટના આદેશથી પીએમ મોદીના હસ્તે મંદિરનાં ભૂમિ પૂજન સુધી. આખા સમયગાળામાં 2 સીટ ધરાવતી પાર્ટી ઈન્દિરા ગાંધી બાદ સૌથી વધુ દમદાર બહુમતી સાથે સત્તામાં આવી અને આખા દેશમાં ભગવો છવાયો.
2017માં અયોધ્યા તો 2022માં મથુરા જિતાડશે ઉત્તર પ્રદેશ?
વર્ષ 2024માં ભારતમા લોકસભા ચૂંટણી આવશે અને તે પહેલા 2022માં યુપીની ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવે છે. એવામાં યુપી જીતવા માટે ભાજપ કોઈ કસર છોડે નહીં. 2017માં જ્યારે રાજ્યમાં સપા સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી રામ મંદિર મુદ્દો ઉછાળ્યો હતો જેનો તેમને ફાયદો પણ મળ્યો છે. એવામાં હવે 2022માં રામ મંદિર જેવા મોટા હિન્દુત્વ મુદ્દાની ભાજપને જરૂર પડે અને મથુરા તેમાં મદદરૂપ થઈ શકે છે.
કાશીમાં બનાવાયો કોરિડોર: પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
નોંધનીય છે કે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં ઘણા વર્ષથી કોરિડોર નિર્માણ કરવામાં આવી રહ્યું હતું અને સોમનાથ મંદિરની જેમ સમગ્ર પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે. આગામી 13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી નવા કોરિડોરનું ઉદ્ઘાટન પણ કરશે અને બાબા વિશ્વનાથની પૂજા અર્ચના પણ કરશે.
આમ યુપીમાં ભાજપનું રાજકારણ કાશી, મથુરા અને આયોધ્યા પર ફરી કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યા હુઈ હમારી, અબ કાશી-મથુરા કી બારી: ભાજપના ડેપ્યુટી સીએમ
છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય જનતા પાર્ટીને 2017માં વિધાનસભામાં જીત અપાવનાર અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય મથુરા-મથુરા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં ટ્વિટ અને મીડિયામાં નિવેદનો આપીને આડકતરી રીતે હિન્દુઓને મેસેજ આપવા પ્રયાસો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
સીએમ યોગીએ પીએમ મોદીને શ્રીકૃષ્ણ મૂર્તિઓ ભેટ આપી
નોંધનીય છે કે પીએમ મોદીએ પણ છેલ્લા બે મહિનાથી યુપી પ્રવાસ વધારી દીધા છે, એક જ મહિનામાં અનેક વાર મોટા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોદી અને યોગીની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેના જુદા જુદા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. આ તસવીરોમાં સીએમ યોગી પીએમ મોદીને કૃષ્ણની મૂર્તિઓ ભેટ આપી રહ્યા છે. અલીગઢમાં યુનિવર્સિટીનાં શિલાન્યાસ અને નોઇડા એરપોર્ટનાં શિલાન્યાસ એમ બે કાર્યક્રમમાં યોગીએ ભગવાન શ્રીકૃષ્ણની ગોપાલ સ્વરૂપ મૂર્તિ ભેટ કરી હતી.
આગામી કારસેવા થશે તો ગોળી નહીં ચાલે, રામ-કૃષ્ણ ભક્તો પર પુષ્પવર્ષા કરીશું
નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં દિવાળીનો કાર્યક્રમ હતો ત્યારે પોતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં થયેલ કારસેવાને યાદ કરતાં કહ્યું કે પહેલા કારસેવા થઈ ત્યારે રામભક્તો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. પણ હવે જ્યારે કારસેવા થશે ત્યારે રામભક્તો અને કૃષ્ણભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવશે. નોંધનીય છે કે રાજકીય પંડિતો આ નિવેદનોનાં અનેક અર્થ કાઢી રહ્યા છે અને કટ્ટર કૃષ્ણભક્તો પણ માની રહ્યા છે કે યોગી આદિત્યનાથ પણ હવે કારસેવાનાં પક્ષમાં છે.
રામમંદિર નિર્માણ શરૂ થતાં જ તમામ પાર્ટીઓ પણ મંદિરના પક્ષમાં આવી ગઈ
નોંધનીય છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ થયા બાદ રાજકીય પાર્ટીઓને અણસાર આવી ગયા કે આનો ફાયદો સીધો જ ભાજપને પહોંચી શકે છે ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ મંદિરના પક્ષમાં નિવેદનો આપી રહ્યા છે. એવામાં ભાજપ હવે મથુરાનો મુદ્દો ઉછાળીને આ પાર્ટીઓને ફરી હિન્દુત્વનાં મુદ્દા પર પાડી દેવા માંગે છે. હાલમાં જ ડેપ્યુટી સીએમ મૌર્યએ પૂછ્યું હતું કે અખિલેશ યાદવ બતાવે કે મથુરામાં મંદિર બનવું જોઈએ કે નહીં?
શું છે સમગ્ર મામલો?
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાનનું આખું પરિસર આશરે 13 એકડનું છે જેમા શાહી ઈદગાહ પણ આવેલ છે. મંદિરનાં પક્ષકારોનો દાવો છે કે ઔરંગઝેબે અહિયાં મંદિર તોડીને ઈદગાહ બનાવી છે. માનવામાં આવે છે કે જે જેલમા શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તેના પર દબાણ કરીને ઔરંગઝેબે ઈદગાહ બનાવી લીધી હતી. વર્ષ 1832માં કલેકટર સામે આ મામલે પહેલો કેસ સામે આવ્યો હતો. 1968માં બંને પક્ષો વચ્ચે યથાસ્થિતિ બનાવી રાખવાને લઈને સમજૂતી થઈ હતી. જોકે આ મામલે પાછળથી હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી છે અને હવે સંગઠનો જોરશોરથી કહી રહ્યા છે કે ઈદગાહની જગ્યા પર જ મંદિર નિર્માણ કરવામાં આવે.
ભાજપનો મૂળ મુદ્દો હિન્દુત્વ, યોગીને થશે સૂટ
દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પીએમ મોદી પછી કોઈ બીજો સૌથી મોટો લોકપ્રિય ચહેરો હોય તો તેનું નામ છે યોગી આદિત્યનાથ. જ્યારે 2017માં ગોરખનાથ મંદિરના પીઠાધીશને યુપીના સત્તાધીશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે ભાજપ પોતાના સૌથી મોટા હિન્દુત્વનાં મુદ્દા સાથે જોડાયેલી જ રહેશે. એવામાં અયોધ્યા પછી વધુ એક વિવાદ રાજ્યમાં આવી જાય તો યોગી આદિત્યનાથ અને ભાજપને ફાયદો મળી શકે છે.
જોકે હવે વિકાસનાં નામે વોટ મળે છે તેવું કહેનારા પીએમ મોદી યુપીમાં કયા મુદ્દાઓ પર ધ્યાન આપે છે, અને શું અયોધ્યા જેટલું મોટું આંદોલન મથુરા માટે ઊભું કરવું શક્ય છે ખરું? એ પણ એક મોટો સવાલ છે.