આમ તો સરકાર દ્વારા વારંવાર દેશમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવાના તથા સુશાસનથી અપરાધના આંકડાઓ ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડા કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે.
હત્યા દર 1963 પછી 2017માં તેની સૌથી નીચી સપાટી
ખેડૂતોની આત્મહત્યા, મૉબ લિંચિંગ માટે અલગ કેટેગરી કેમ નહીં?
આંકડાઓ પ્રમાણે, હત્યાના દરમાં ઘટાડો થયો હોય, પરંતુ હત્યાનો પ્રયાસમાં વધારો
દર બે મિનિટમાં એક વાહન ચોરી, દર પાંચ મિનિટે એક અપહરણ, દર છ મિનિટમાં એક મહિલા પર હુમલો, દર નવ મિનિટમાં એક હત્યાનો પ્રયાસ, દર 16 મિનિટે એક હત્યા, આટલી મિનિટમાં જ એક દુષ્કર્મ, દર 17 મિનિટમાં એક લૂંટ, દર 25 મિનિટે એક જાતીય સતામણીની ઘટના, દર 54 મિનિટમાં એક ખંડણી અને બ્લેકમેઇલ અને દર 70 મિનિટે દહેજની લાલચમાં એક હત્યા. આ છે આપણા દેશની કાનૂન વ્યવસ્થા અને આમઆદમીની સુરક્ષા-સલામતીના પોકળ દાવાની હકીકત.
વર્ષ 2017માં અનેક રાજ્યોમાં હિંસક અપરાધોમાં તેનાથી ગયા વર્ષ (2016)ની સરખામણે ઘટાડો નોંધાયો છે, પરંતુ અહીં અપરાધોના ટાઈમટેબલ પરથી જે તસ્વીર ઉભરીને સામે આવે છે તે ઓછી ભયાનક કે ચોંકાવનારી નથી.
હત્યા દર 1963 પછી 2017માં તેની સૌથી નીચી સપાટી
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા વર્ષ 2017ના અપરાધના આંકડા દર્શાવે છે કે, ભારતમાં હત્યા દર 1992 બાદ ધીમે ધીમે ઘટ્યો છે અને 1963 પછી 2017માં તેની સૌથી નીચી સપાટીએ છે. જે અનુસાર, દર એક લાખની વસ્તીએ 2.49 હત્યા નોંધાઈ છે. 2015ની તુલનામાં 2017માં ચોરીના કેસોમાં પણ ઘટાડો થયો છે. 2017માં નોંધાયેલા બળાત્કાર અને જાતીય સતામણીના કેસો પણ 2015ની સરખામણીએ ઘટડો નોંધાયો છે.
સૌથી મોટો સવાલ એ પણ છે કે, એનસીઆરબીએ 2017નો ક્રાઈમ ડેટા છેક વર્ષ 2019ના અંતમાં શા માટે જાહેર કર્યો છે? વર્ષ 1953થી નિયમિત રીતે પ્રકાશિત થતો 'ક્રાઈમ ઈન ઈન્ડિયા' અહેવાલ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણાય છે, જે દેશમાં કાયદો અને વ્યવસ્થાની સાચી પરિસ્થિતિને દર્શાવે છે અને સરકારો ગુનેગારોને સજા અપાવવામાં કેટલી સફળ અથવા અસફળ રહી છે તે પણ દર્શાવે છે.
જો દૈનિક અખબારોમાં પ્રકાશિત સ્થાનિક સમાચાર પર ધ્યાન આપીએ તો સમજાશે કે, ભારતના ઘણા શહેરોમાં, ખાસ કરીને દિલ્હીમાં હાલમાં ગુનાઓમાં સતત વધારો થતો હોવાનો અહેવાલ મળી રહ્યો છે. 2017ના ડેટા હાલમાં સંકટનો સામનો કરી રહેલા નાગરિકો માટે ગુના નિયંત્રણ યોજનાઓ બનાવવા માટે ખાસ ઉપયોગી નથી. વર્ષ 2018ના ક્રાઈમ ડેટા પણ તાત્કાલિક જાહેર કરવા જોઈએ.
ખેડૂતોની આત્મહત્યા, મૉબ લિંચિંગ માટે અલગ કેટેગરી કેમ નહીં?
જોકે અપરાધની કેટલીક નવી કેટેગરીઓને 2017ના અહેવાલમાં સામેલ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોની આત્મહત્યા અને મૉબ લિંચિંગના કેસોને અલગ કેટેગરીમાં રિપોર્ટ નહીં કરવાની સરકારની નીતિ ખુબ ચિંતાજનક છે. 2015 સુધી ખેડૂત આત્મહત્યા અલગ કેટેગરી હેઠળ નોંધાતી હતી, જે હવે બંધ કરી દેવામાં આવી છે. રિપોર્ટ ફાઇલ ન કરવાથી કે ફરિયાદ ન નોંધવાથી કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. ઉલટાનું રિપોર્ટ કરવાથી સમસ્યાના સમાધાનમાં મદદ મળે છે અને સમસ્યાને અંકુશમાં લેવાની સંભાવના પણ ખુબ વધી જાય છે. ભલે આંકડાઓ પ્રમાણે, હત્યાના દરમાં ઘટાડો થયો હોય, પરંતુ હત્યાનો પ્રયાસ 3.7 (2015)થી વધીને 4.0 (2017) થઈ ગયો છે.
આ રાજ્યો છે ક્રાઈમ ચાર્ટમાં ટૉપ પર
જે રાજ્યો ગુનાના ચાર્ટમાં ટોપ પર છે તેમાં ઝારખંડ અને હરિયાણા (હત્યા), બંગાળ અને બિહાર (હત્યાનો પ્રયાસ), દિલ્હી અને આસામ (અપહરણ), દિલ્હી અને મહારાષ્ટ્ર (ચોરી), મધ્યપ્રદેશ અને છત્તીસગઢ (બળાત્કાર) તથા ઓડિશા અને દિલ્હી (જાતીય હિંસા)નો સમાવેશ થાય છે. આ રાજ્યોએ ખાસ સજ્જ થવાની જરૂર છે, જેથી પ્રજાને સલામતીનો અહેસાસ થાય. પોલીસનું કામ ગુનાખોરીને અંકુશમાં લેવાનું છે, પરંતુ ચિંતાજનક બાબત એ પણ છે કે 2017માં કસ્ટડીમાં બળાત્કારના કુલ 89 કેસ નોંધાયા હતા, જેમાંથી 43 જેલ અથવા રિમાન્ડ હોમમાં બન્યા હતા.