અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલાં કોમી તોફાનો દરમિયાન આણંદના ઓડ ગામે સર્જાયેલા હત્યાકાંડમાં આજે હાઇકોર્ટ પોતાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 14 આરોપીઓની સજા યથાવત્ રાખી છે. અને 5 આરોપીઓની 7 વર્ષની સજા પણ યથાવત્ રાખવામાં આવી છે. જ્યારે 3 આરોપીઓની આજીવન કેદની સજા રદ્દ કરવામાં આવી છે. જે આરોપીઓએ 7 વર્ષની સજા કાપી છે તે આરોપીઓને મુક્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઈકોર્ટે 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. જેમા દિલીપ પટેલ પૂનમ પટેલ અને નટુ પટેલનો સમાવેશ થાય છે.
રમખાણમાં 23 લોકોને જીવતા ભૂંજી દેવાયા હતા
ગુજરાતમાં બનેલ ગોધરાકાંડ બાદ ઠેર-ઠેર કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં વર્ષ 2002 ઓડ ગામમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણમાં 23 લોકોને જીવતા ભૂંજી દેવાયા હતા. જે ઘટનાને લઇને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો જેમાં જજ પૂનમ સિંધે ચૂકાદો સંભળાવ્યો હતો. આણંદ જિલ્લાના ઓડ ગામે બપોરના સમયે આ રમખાણ સર્જાયું હતું જેમાં ટોળાએ એક બિલ્ડિંગને આગ ચાંપી દીધી હતી. આ આગચાંપીમાં 23 લોકો જીવતા સળગાવી દેવાયા હતા.
૨૩ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા
આ ચકચારભર્યા કેસમાં આણંદના જિટોડિયા ખાતે એડિશનલ સેશન્સ જજ શ્રીમતી પૂનમસિંઘે તા. ૯મી એપ્રિલ ૨૦૧૨ના રોજ ૨૩ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ૨૩ને નિર્દોષ શંકાનો લાભ આપીને છોડી મુક્યા હતા. તા. ૧૨મી એપ્રિલ ૨૦૧૨ના રોજ સજા ફરમાવવાનું એલાન કર્યુ હતું. પૂનમસિંઘે હત્યાના ગુના બદલ ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે પાંચ આરોપીઓને હત્યાની કોશિશ બદલ સાત સાત વર્ષની કેદની સજા કરી હતી.
જજ પૂનમસિંઘે સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો
ઓડ હત્યાકાંડના ચકાચારી કેસમાં સ્પેશ્યલ કોર્ટના જજ પૂનમસિંઘે સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો. અંદાજે ૧૨૫૨ પાનાના ચુકાદામાં બનાવનો ઘટનાક્રમ ભોગ બનેલા મુસ્લિમ પરિવારોનાં પાંચ પુરુષ નવ મહિલા નવ સગીર વયનાં બાળકો તેઓની સ્થિતિ સીટનો તપાસ અહેવાલ આરોપીઓની ભૂમિકા તેઓની સંડોવણી અંગેના સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાઓની વિગતો નોંધવામાં આવી છે.
દિલીપ પટેલ પૂનમ પટેલ અને નટુ પટેલ નિર્દોષ
આ હત્યાકાંડમાં આરોપીઓએ હાઇકોર્ટમાં સજાને પડકારતી અપીલ કરતી હતી. ત્યારે સરકારે પણ આરોપીઓને વધુ સજા થાય તે માટેની અપીલ કરી હતી. જસ્ટીસ અકીલ કુરેશીની વડપણવાળી ખંડપીઠ તમામ પક્ષે દલીલો સાંભળીને આજે પોતાનો ચુકાદો સંભળાવતા આરોપી દિલીપ પટેલ પૂનમ પટેલ અને નટુ પટેલને નિર્દોષ છોડી મૂક્યા છે.
આ ત્રણેય આરોપીઓને સ્પેશ્યિલ કોર્ટે આજીવન કેદની સજા કરી હતી. સ્પેશ્યિલ કોર્ટે ૧૮ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં એક આરોપીનું જેલમાં મોત થયું હતું. હાઈકોર્ટે આ કેસમાં સજા કાપી ચૂકેલા આરોપીઓને છોડી મૂકવા આદેશ કર્યો છે.