આજનો દિવસ કદાચ કોઈને યાદ હોય કે ન હોય પરંતુ અમદાવાદીઓને અને એ પરિવારને ચોક્કસથી યાદ છે. જેણે પોતાના પરિવારના મોભીઓને ગુમાવ્યા હતા. સાબરમતી એક્સપ્રેસના તે ડબ્બાની જ્વાળાઓમાંથી સંભળાતી મોતની ચિચિયારીઓ આજે પણ કાનમાં ગુંજી રહી છે. આજે આવા જ એક પરિવારની વાત કરવી છે. જેણે પોતોનો લાડકવાયો ગુમાવ્યો હતો. પરંતુ આજે 18 વર્ષે પણ તેમના ઘા રૂઝાતા નથી. કારણ કે, આપણી સરકાર રુઝાવા દેતી નથી. સરકાર સહાય તો આપતી નથી પરંતુ સહાયના નામે નોટિસો પણ તેમના ઘા તાજા કરે છે. ક્યારે કેવી છે એ પરિવારની આપવીતિ...
વળતરના નામે વેદનાની મજાક!
18 વર્ષ થયાં છતાં નથી મળ્યું વળતર
મૃતકના પરિવાર પાસે પુરાવા માગે છે સરકાર!
'27 ફેબ્રુઆરી, 2002'/'સાબરમતી એક્સપ્રેસ': આ તારીખ, આ દિવસ અને આ નામ કેવી રીતે ભૂલી શકાય. જ્યારે અયોધ્યાથી અમદાવાદ ફરેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામા 59 કારસેવકોને જીવતા સળગાવી દેવાયા. આ રૂવાટા ઉભા કરતી ઘટનાના ઘા આજે પણ 18 વર્ષે રુઝાયા નથી. કારણ કે, આપણી સરકાર તે ઘા રુઝાવા નથી દેતી.
અમારો 3 વર્ષનો ફુલ દેવો દીકરો અત્યારે હોત તો 22 વર્ષનો થઈ ગયો હોતઃ એક પિતા
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એસ-6 ડબ્બામાં જીવતો સળગી ગયેલો અમારો 3 વર્ષનો ફુલ દેવો દીકરો હતો. જે અત્યારે હોત તો 22 વર્ષનો થઈ ગયો હોત. અમારા બુઢાપાની લાઠી બન્યો હોત. આ શબ્દો લલનપ્રસાદ ચોરસીયાના છે. જે આજે પણ તે ઘટનાને યાદ કરતા ધ્રુજી ઉઠે છે. આખો પરિવાર રડી પડે છે.
18 વર્ષ પછી પણ સહાય નથી મળી
દુઃખની વાત તો એ છે કે, સરકારે ગોધરાકાંડ બાદ મૃતકોના પરિવાર માટે 5-5 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આજે 18 વર્ષ બાદ પણ સરકારે કોઈ સહાય
આપી નથી. માત્ર સહાયના નામે તેમના દર્દનાક જખમો તાજા કરી રહી છે. એટલું જ નહીં તે આગની જ્વાળાઓ હજુ પણ તેમની આંખોમાં સળગતી જોવા મળી રહી છે.
સહાય માટે ક્યાં સુધી કગરાવવું?
મહત્વનું છે કે, આ ઘટનાને આજે 18 વર્ષ વીતિ ચૂ્ક્યા છે. છતાં આજ સુધી સહાયના નામે એકપણ રૂપિયો નથી મળ્યો. 18 વર્ષે સરકાર તરફથી આ પરિવારને વળતર માટે નોટિસ અપાઈ છે. એટલું જ નહીં આ પરિવાર પાસે પુરાવા પણ માંગવામાં આવ્યા છે. પરિવાર પાસે મૃતક રિષભનું ડેથ સર્ટિફિકેટ માગવામાં આવી રહ્યું છે. જે ત્રણ વર્ષનો રિષભ જીવતા જ ડબ્બામાં સળગી ગયો હતો. જેનો મૃતદેહ પણ હાથમાં લાગ્યો ન હતો. તેનું ડેથ સર્ટિફિકેટ પરિવાર ક્યાંથી લાવે? આ પરિવાર પાસે તો માત્ર બાળકનાં સેમ્પલનો માતા-પિતા સાથે મેચ થયેલો DNA રિપોર્ટ જ છે. છતાં તંત્ર ડેથ સર્ટિફિકેટ કાઢી આપતું નથી. સરકાર માત્ર સહાનુભૂતી બતાવે છે અને કાંઈ કરે છે તો તે માત્ર ને માત્ર વળતરના નામે જખમ તાજા કરવાનું કામ.
અહીં આપને એપણ જણાવી દઈએ કે, આ ગોધરાકાંડમાં ખુદ લલનપ્રસાદ કે જેમણે પોતાનો પૌત્ર ગુમાવ્યો છે. તે ખુદ 80 ટકા દાજી ચૂક્યા હતા. ખુદ 15 દિવસે ભાનમાં આવ્યા હતા. તે ક્યાંથી મૃત પૌત્રનું સર્ટિફિકેટ લાવે. તેવામાં આ સરકારનું તંત્ર પુરાવા માગી રહ્યું છે. શું આ તંત્રને શરમ નથી આવતી ? જે પરિવારની મદદ કરવી જોઈએ તેમની પાસે પુરાવા માગે છે. કેમ ગોધરા નગરપાલિકા આ પરિવારને ડેથ સર્ટિફિકેટ નથી આપતી ? એવું લાગી રહ્યું છે. સત્તાધિશો આ દુઃખી પરિવાર સાથે મજાક કરી રહ્યા છે. તેમના ઘા પર મલમ લગાવવાની જગ્યાએ ઘા ફરી તાજા કરી રહ્યું છે.