હાઇ સિક્યોરિટી ઝોન તેમજ સંવેદનશીલ ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં અવારનવાર મોબાઇલ ફોન મળી આવે છે, જેમાં પોલીસ કેદીઓ સામે ગુનો તો દાખલ કરે છે, પરંતુ હજુ સુધી નવાઇની વાત એ છે કે છાશવારે જેલમાંથી મળી આવતા મોબાઇલમાં જેલના કોઇ સિપાઇ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. છેલ્લાં સાડા પાંચ વર્ષમાં રાણીપ પોલીસે 160 કરતાં વધુ ગુના દાખલ કર્યા છે.
ચાલુ વર્ષે જેલમાંથી 20 કરતા વધુ મોબાઇલ મળી આવ્યા
સાડા પાંચ વર્ષમાં રાણીપ પોલીસે 160 કરતાં વધુ ગુના દાખલ કર્યા
એસઓજી ક્રાઇમ જેલમાં મોબાઇલ ફોન રાખનાર કેદીઓની ધરપકડ કરે છે
પોલીસ દ્વારા કોઇ પણ કાર્યવાહી થઇ નથી
ચાલુ વર્ષે જેલમાંથી 20 કરતા વધુ મોબાઇલ મળી આવ્યા છે, જેમાં એક પણ કેસમાં જેલ સિપાઇ આરોપી નથી. કેદીઓને બેરેક સુધી મોબાઇલ લઇ જવામાં મદદરૂપ થનાર જેલના કોઇ સિપાઈ કે અધિકારી વિરુદ્ધમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઇ પણ કાર્યવાહી થઇ નથી.
જેલના સિપાઇઓની કામગીરી પર સવાલ ઊભા કર્યા
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સુરક્ષાના મામલે હંમેશાં વિવાદોમાં રહી છે ત્યારે હવે જેલમાં કોઇ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જેલ તંત્ર સુરક્ષાને લઇ પૂરતું ધ્યાન આપી રહ્યું છે, પરંતુ જેલમાંથી અવારનવાર મળી આવતા મોબાઇલ ફોને જેલના સિપાઇઓની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે.
કેદી મોબાઇલ કેવી રીતે સેન્ટ્રલ જેલમાં લઇ ગયો તેનો ચોંકાવનારો ખુલાસો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં થોડા દિવસ પહેલાં એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો, જેમાં રાણીપ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ એસઓજી ક્રાઇમને મોકલી આપી હતી. સેન્ટ્રલ જેલમાં મોબાઇલ ફોન મળી આવે તો તેની તપાસ એસઓજી ક્રાઇમ કરે છે. એસઓજી ક્રાઇમ જેલમાં મોબાઇલ ફોન રાખનાર કેદીઓની ધરપકડ કરે છે અને તેમની પૂછપરછ કરે છે, જેમાં કેદી મોબાઇલ કેવી રીતે સેન્ટ્રલ જેલમાં લઇ ગયો તેનો ચોંકાવનારો ખુલાસો કરે છે.
કેદીઓ પોલીસ સમક્ષ કોઇ પણ સિપાઇના નામની કબૂલાત
મોટા ભાગના કેસમાં કેદીને કોર્ટ અથવા હોસ્પિટલથી મોબાઇલ ફોન પરિવાર દ્વારા આપવામાં આવે છે, જેમાં જેલના સિપાઇની મદદથી તે કેદી મોબાઇલ લઇ જાય છે, પરંતુ કેદીઓ પોલીસ સમક્ષ કોઇ પણ સિપાઇના નામની કબૂલાત કરતા નથી, જેના કારણે કેસના કાગળોમાં ક્યાંય જેલ સિપાઇનું નામ દર્શાવવામાં આવતું નથી અથવા તો જેલ તંત્રને બચાવવા માટે તપાસ અધિકારીઓ કેદીઓને સિપાઇની સંડોવણીના મામલે કોઇ પૂછપરછ કરતા નથી.
કેદીઓનાં પરિવારજનો મોબાઇલ ફોનને દીવાલ કુદાવીને જેલની અંદર ફેંકતાં હોય
જેલ સિપાઇ થોડાક રૂપિયાની લાલચ માટે કેદીઓનું ચેકિંગ કરતા નથી. એસઓજીએ મોટા ભાગના કેદીઓની કરેલી પૂછપરછમાં કોર્ટ અથવા તો હોસ્પિટલથી મોબાઇલ ફોન આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે જેલ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જેલ સિપાઇઓને છાવરતાં જેલમાં મોબાઇલ ફોન કેવી રીતે પહોંચે છે તેની અનેક તરકીબો બતાવી હતી. કેટલાક કેદીઓનાં પરિવારજનો મોબાઇલ ફોનને દીવાલ કુદાવીને જેલની અંદર ફેંકતાં હોય છે ત્યારે સિક્યોરિટીની લાપરવાહીના કારણે પણ મોબાઇલ આવી જતા હોય છે.
સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે
કેદીઓ નવા ચંપલમાં મોબાઇલ ફોન સંતાડીને લાવતા હોય છે. જેલ તંત્રએ છ થી સાત કેદીઓને આવી રીતે ઝડપી લીધા છે. દિવસમાં 9 કલાક માટે જ્યારે તમામ કેદીઓને બહાર કાઢવામાં આવે છે ત્યારે સેન્ટ્રલમાં જેલ અધીક્ષક સહિત 400 જેલ સિપાઈ, હવાલદાર, સુબેદાર તમામ કેદીઓની સુરક્ષા કરતા હોય છે અને તેમની ગતિવિધિ પર નજર રાખતા હોય છે. સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી પણ કહેવામાં આવે છે, કારણ કે પાકા અને કાચાકામના કેદીઓ એકબીજાને મળીને પોતાના મનસૂબા પાર પાડવા માટેનાં કાવતરાં પણ સેન્ટ્રલ જેલમાં ઘડતા હોય છે.
આ મામલે એસઓજીના ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું છે કે, ''સેન્ટ્રલ જેલમાંથી જે મોબાઇલ મળી આવે છે તેમાં કોઈ પણ જેલ સિપાહી કે જેલ અધિકારીની સંડોવણી સામે આવી નથી. પૂછપરછ દરમિયાન પણ કેદીઓ તેમનું નામ કબૂલતા નથી.''