વડોદરાના રાયપુરા ગામે એક લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જે બાદ તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના રાયપુરા ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના
લગ્ન પ્રસંગના જમણવાર પછી લોકોને થઈ અસર
200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
રાજ્યમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે ત્યારે જમણવારમાં ફૂડ પોઇઝનિંગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. વડોદરાના રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 200થી વધારે લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં હડકંપ મચી ગયો હતો. એક સાથે 200થી વધારે લોકોની તબિયત લથડતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જમણવાર બાદ મહેમાનોની તબિયત લથડી
મળતી માહિતી અનુસાર, રાયપુરા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ એકાએક લોકોની તબિયત બગડવા લાગી હતી, લગ્ન પ્રસંગમાં આવેલા 200 કરતા વધારે મહેમાનોની જમ્યા પછી તબિયત લથડતા તમામને તાત્કાલિક સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારીઓ થયા દોડતા
તો આ અંગેની જાણ થતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હાલ લગ્ન પ્રસંગમાં જમણવારમાં બનાવવામાં આવેલી વસ્તુઓને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી છે. સાથે જ તમામ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
છાશ પીધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ પોરબંદરના આદિત્યાણા ગામે 18 લોકોએ છાશ પીધા પછી ફૂડ પોઈઝનિંગ થઈ જતા 12થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ તાલુકાની જીંજરકા સીમ વાડીવિસ્તારમાં ખેત મજૂરી કરતા 18 જેટલાં ખેતમજૂરોની ગઈકાલે બપોરે છાશ પીધા બાદ તબિયત લથડી હતી. 18 લોકોએ છાશ પીધા પછી ફૂડ પોઈઝનિંગ થઈ જતા 12 થી વધુ લોકોને તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.