મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સુશાસનને ર૦૦ દિવસ પૂર્ણ થયા છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે કેટલાક નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ કરી છે.
રાજય સરકારના નવા મંત્રી મંડળને 200 દિવસ પૂર્ણ
CM ભુપેન્દ્ર પટેલની સરકારને 200 દિવસ થયા પૂર્ણ
જાણો 200 દિવસમાં શું શું નવી યોજનાઓ અને ફેરફાર થયા
મુખ્યમંત્રીએ આ ૨૦૦ દિવસ દરમિયાન ૬૧,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને લોકો વચ્ચે, લોકો સાથે, લોકો માટે સતત કર્તવ્યરત જનસેવકની આગવી છબિ ઉજાગર કરી છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના જનમાનસમાં મૃદુ પણ મક્કમ અને નિર્ણાયક નેતૃત્વકર્તા પૂરવાર થયા છે તે તેમના આ ૨૦૦ દિવસ દરમિયાનની કાર્યરીતિ-નીતિને આભારી છે.
નવી ૧૧ યુનિવર્સિટીઓની મંજૂરી
ગુજરાતના યુવાધનને ઘરઆંગણે વર્લ્ડકલાસ એજ્યુકેશનની સુવિધા આપવાના ઉદાત ધ્યેયથી રાજ્યમાં નવી ૧૧ ખાનગી યુનિવર્સિટીઓને તેમણે મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ થયું. જે અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર આ નીતિ અન્વયે આર્થિક સહાય આપે છે.
રાજ્યની શાળાઓમાં માળખાકીય સગવડો અને શિક્ષણમાં ગુણાત્મક સુધારા માટે મિશન સ્કુલ એક્સેલેન્સ યોજનાનો સુદ્રઢ અમલ કરવામાં આવ્યો છે. રાજ્યની યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષાની બનાવવા માટે આગામી ૪ વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તેમના દિશાદર્શનમાં તૈયાર કરવામાં આવ્યો છે.
વેક્સિનના ૧૦ કરોડ ડોઝની સિદ્ધિ ગુજરાતે મેળવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જન-જનના આરોગ્યની પણ પૂરતી કાળજી લીધી છે. વેક્સિનેશન અભિયાન વેગવંતુ બન્યું, ૧૦ કરોડ ડોઝની સિદ્ધિ ગુજરાતે મેળવી. અત્યાર સુધી રાજ્યના ૩૦ લાખ તરૂણોને, ૯ લાખ બાળકોને કોરોના વિરોધી રસીકરણમાં આવરી લેવાયા છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ શરૂ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું
છે.
સ્ક્રિનીંગથી સારવારની શરૂઆત કરી
સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત માટે પ્રતિબધ્ધ એવા મુખ્યમંત્રીએ સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનીંગથી સારવારની શરૂઆત કરી છે. જે અંતર્ગત રાજ્યના ૩ કરોડ ૩૦ લાખ નાગરિકોને આવરી લેવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
SSIP 2.0 સ્પોર્ટસ પોલિસી-આઇ.ટી પોલિસી અને બાયોટેક્નોલોજી પોલિસી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં દેશના ગ્રોથ એન્જિન અને પોલિસી ડ્રીવન સ્ટેટ ગુજરાતની સિદ્ધિઓને શ્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ઉજ્જવળ બનાવી છે. તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારે ચાર નવી પોલિસી સફળતાપૂર્વક અમલી બનાવી છે, જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી -૨.૦; આઇ.ટી. પોલિસી -૨૦૨૨, બાયોટેકનોલોજી પોલિસી અને સ્પોર્ટ્સ પોલિસીનો સમાવેશ થાય છે. આ બધી જ પોલિસી દ્વારા રાજ્યની યુવાશક્તિના કૌશલ્યને વિશ્વસમકક્ષ બનાવવાનો સફળ આયામ આદર્યો છે. પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
PSI અને લોકસક્ષક દળની ભરતી
રાજ્યના નવયુવાનોને સુરક્ષા સેવા ક્ષેત્રમાં જોડવા માટેની સુવર્ણ તક ઉભી કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સપેક્ટરના વિવિધ સંવર્ગોની ૧૩૮૨ જેટલી જગાઓ ઉપર ભરતી કરવા માટે પોલીસ સબ ઇન્સપેક્ટર ભરતી બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે. લોકરક્ષકના વિવિધ સંવર્ગો માટે ૧૦,૪૫૯ની જગાઓ માટે નવયુવાનોની પારદર્શક ભરતી કરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડની રચના
મુખ્યમંત્રીએ ખેડૂતો, વંચિતો, ગરીબો અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક નવતર પહેલ અને લાભકારી નિર્ણયો આ ર૦૦ દિવસની અવિરત કર્તવ્ય યાત્રામાં કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાસાયણીક ખાતરમુકત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વિસ્તારવાનું પણ અભિયાન ઉપાડયું છે. આદિજાતિ ડાંગ જિલ્લો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતીયુકત જિલ્લો જાહેર થયો છે. એટલું જ નહિ, ગુજરાતનો ખેડૂત હવે ડ્રોન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરતો થયો છે અને તેનું ઉત્પાદન વધે તથા ઇનપૂટ ખર્ચ ઘટે તેવો નવતર અભિગમ સરકારે અપનાવ્યો છે.
૧૦૦૦ દિવસ સુધી સગર્ભા મહિલાને પોષક આહાર
મુખ્યમંત્રીએ નારીશક્તિનું સન્માન કરતા આ વર્ષના બજેટમાં ૪૨ ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. પોષણ સુધારા યોજનાનો વ્યાપ વધારવા અને ‘સુપોષિત માતા-સ્વસ્થ બાળ’ યોજનાનો અમલ કરીને મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપ્યું છે. સગર્ભા અને ધાત્રી માતા તથા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે એક હજાર દિવસ સુધી પ્રતિ માસ ૧ કિલો તુવેર દાળ, ૨ કિલો ચણા અને ૧ લિટર ખાદ્ય તેલ વિનામુલ્યે આપવામાં આવશે. તે માટે બજેટમાં ૮૫૦ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે.
આદિજાતિ વિસ્તારોમાં પ૦૦ નવા મોબાઇલ ટાવર ઊભા કરવાની પહેલ
આદિવાસી વિસ્તારોમાં નવા ૫૦૦ મોબાઈલ ટાવર ઊભા કરી મોબાઇલ નેટવર્ક સુવિધા વધારવાનો નિર્ણય મુખ્યમંત્રીના નેતૃત્વના આ ૨૦૦ દિવસ દરમિયાનની વિશેષ ઉપલબ્ધિ છે.
અનૂસુચિત જાતિના ૧.૧૪ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૬ કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ
અનુસૂચિત જાતિના ૧.૧૪ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૧૯૬.ર૩ કરોડની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ આપવામાં આવી છે. વનબંધુઓના બાળકોને ગુણવત્તસભર શિક્ષણ માટે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ કરાશે જે માટે ૪૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
રાજ્યભરમાં આ વર્ષના અંતસુધીમાં ૧૦૦ ટકા નલ સે જલનો સંકલ્પપૂર્ણ
શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં જળવ્યવસ્થાપનની કામગીરીને નવી ગતિ મળી છે. નલ સે જલ કાર્યક્રમની કામગીરી ૯૩ ટકા સુધી પૂરી થઇ ગઇ છે. આ વર્ષના અંત સુધીમાં ૧૦૦ ટકા નલ સે જલ સિદ્ધ કરવાનો સંકલ્પ છે. રાજ્યની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે ગુજરાત સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. કચ્છમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીથી સિંચાઇ સુવિધાનું આયોજન રૂ. ૪૩૭૦ કરોડની યોજનાને મંજૂરી આપીને કર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગુજરાતે રાષ્ટ્રીય માપદંડોમાં ખરા ઊતરી અનેરી સિદ્ધિઓ નોંધાવી છે. આ સાથે જ ગુજરાતની સાડા છ કરોડ જનતાના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીએ અનેક મહત્વના નિર્ણયો પણ કર્યા છે.
રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ર લાખ ૪૪ હજાર કરોડના કદનું બજેટ
ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું ૨ લાખ ૪૪ હજાર કરોડનું, ૧૭ હજાર કરોડના વધારા સાથે અને કોઇ જ નવા કરવેરા વિનાનું પૂરાંતવાળું બજેટ રજૂ થયું છે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇ
ગૌમાતા પોષણ યોજના માટે રૂ. પ૦૦ કરોડની બજેટ જોગવાઇ કરીને ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને માળખાકીય સુવિધા વિકાસનો રાહ દર્શાવ્યો છે.
લોકોના પ્રશ્નો સરકારના વિવિધ વિભાગો વચ્ચે અટવાય નહિ તે માટે સરકારના તમામ વિભાગ વચ્ચે સુચારુ સંકલન માટે ઇ-સરકાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા વધારીને ત્રણ વર્ષ કરાઈ
નાગરિકોને બિનખેતીના હુકમ બાદ પ્રોપર્ટી કાર્ડ ઓટો જનરેશનથી આપવાનો સહહૃદયી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય એ માટે ‘ડિજિટલ ગુજરાત’ અન્વયે ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઈ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની સમયમર્યાદા એક વર્ષથી ત્રણ ગણી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી છે.
સરકારી કામકાજ માટે કરવાના એફીડેવીટમાંથી મુક્તિ આપીને સેલ્ફ ડેક્લેરેશન (સ્વપ્રમાણપત્ર)ને માન્ય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે દેશભરમાં અનેકવિધ ક્ષેત્રોમાં પહેલ રૂપ સિદ્ધિઓ હાંસલ કરી છે.
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ધ સ્ટેટ (LEADS) –૨૦૨૧માં ગુજરાત પ્રથમ છે.
નીતિ આયોગે જાહેર કરેલા એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ-ર૦ર૧માં ગુજરાત સમગ્ર દેશમાં સતત બીજી વખત પ્રથમ ક્રમે છે. નીતિ આયોગ દ્વારા જાહેર એક્સપોર્ટ કોમ્પિટેટીવનેસ ઇન્ડેક્સ – ૨૦૨૦ મુજ્બ નિકાસ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાત નંબર એક પર છે.
નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ નાણાકીય વ્યવસ્થાપનના માપદંડોમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે. ભારત સરકારના ડી.એ.આર.પી.જી દ્વારા જાહેર કરવામાં આવેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત દેશમાં સર્વ પ્રથમ છે.
ભૂપેન્દ્ર પટેલ અદના સેવક બની ગ્રામીણ વિસ્તારોમાં અચાનક પહોચી જઇ ગ્રામજનો, બાળકો, ખેડૂતો સાથે સહજ સંવાદ કરીને આ ર૦૦ દિવસના તેમના અવિરત કાર્ય સેવાયજ્ઞમાં ધરાતળના જન નાયક, સૌના ભૂપેન્દ્ર તરીકે પ્રસ્થાપિત થયા છે.