અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા આનંદ નગરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાના કારણે 20થી 25 ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. સદનસીબે આ દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. આગ લાગ્યાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળ પર ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી. આગ શેના કારણે લાગી તે વાતની જાણ હજુ સુધી નથી થઈ.
સિલિન્ડર બ્લાસ્ટ થયા
અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યા બાદ સિલિન્ડર બ્લાસ્ટ પણ થયા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ. ત્યાર બાદ ઘટના સ્થળે 8 ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ હતી. હાલમાં આ આગ કાબુમાં લઈ લેવામાં આવી છે. જોકે અચાનકર આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.
ફક્ત પહેરેલા કપડાં જ રહ્યા છે
ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના કારણે ગરીબના જીવન ભરની જમાપૂંજી બળીને ખાખ થઈ ગઈ છે. આગમાં બધુ ગુમાવી બેસનાર વ્યક્તિએ જણાવ્યું કે પોતાના દિકરાના લગ્ન માટે સોનાનો દોરો અને પૈસા આગમાં બળી ગયા. સવારે જ્યારે આગ લાગી ત્યારે મોટાભાગના લોકો કામ પર જતા રહ્યા હતા. બધુ બળી જવાના કારણે ફક્ત પહેરેલા કપડાં જ તેમની પાસે છે તેવા દિવસો આવી ગયા છે.
મહત્વનું છે આ પહેલા પણ અમદાવાદમાં અવાર નવાર આગની ઘટના બનતી રહે છે. વારંવાર હોસ્પિટલમાં લાગતી આગના કારણે આજે હાઈકોર્ટે અમદાવાદ મનપાને આડેહાથ લીધી છે. કોરોના હોસ્પિટલમાં આગના કારણે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલ કેમ ચાલુ છે? અને આવી હોસ્પિટલમાં દર્દીઓ દાખલ જ કેમ કર્યા?. અમદાવાદમાં ફાયર NOC ન હોવાના કારણે હોસ્પિટલ સીલ મામલે રજૂઆત કરવામાં આવી હતી.