વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ ડાભીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની ઘટનાએ પોલીસબેડામાં ચકચાર મચાવી દીધી છે. વિશાલ ડાભીએ કામનાં ભારણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે પરંતુ હકીકત તપાસ બાદ સામે આવે તેવી શક્યતા છે. વિશાલ ડાભી સિવાય પણ રાજ્યમાં અનેક પોલીસ કર્મચારીઓ એવા છે કે જેમણે અલગ અલગ કારણોસર આત્મહત્યા કરી લીધી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અંદાજે ૨૦ કરતાં વધુ પોલીસ કર્મચારીઓએ પોતાનાં જીવન ટૂંકાવી દીધાં છે.
બે વર્ષમાં એક DySP, બે PSI સહિત ૨૦ પોલીસ કર્મચારીનો આપઘાત
આપઘાત કરવા પાછળ કામનું ભારણ જવાબદાર હોવાનું પણ જાણવા મળ્યુ
ઘરેલુ ઝઘડાને કારણે પણ આત્મહત્યા કરે છે જવાન
પોલીસ ખાતામાં ઉપરી અધિકારીઓ નાના કર્મચારી તેમજ અધિકારીઓ ઉપર શિસ્તના નામે ત્રાસ ગુજારતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીઓ આત્મહત્યા કરી લેતા હોય છે. પોલીસની નોકરી એટલે સતત ૨૪ કલાકની નોકરી અને તેની સાથે ભરપુર શારીરિક અને માનસિક દબાણ રહેલું હોય છે. પોલીસ કર્મચારી અને અધિકારીઓએ સતત એક પ્રકારના માનસિક તણાવમાં રહીને પોતાની કારકિર્દીને આગળ ધપાવવાની હોય છે. જો કે આ નોકરીમાં કેટલાક લોકો પોતે નિષ્ફળ રહેશે તેવા ડરથી પોતાના જીવનને ટૂંકાવી નાખતાં હોવાના અનેક બનાવો બને છે.