આપણા ત્યાં હૃદયની બીમારીના દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ અને બાયપાસ સર્જરી પણ ઢગલાબંધ થઇ રહી છે. તેની સામે હંમેશાં એક વિવાદ એ રહ્યો છે કે કેટલાક ડોક્ટર જરૂર ન હોય તેમ છતાં સ્ટેન્ટ મૂકીને કે બાયપાસ સર્જરી કરીને દર્દીઓનાં ખિસ્સાં ખંખેરે છે, તેમાં પણ પૈસાપાત્ર, મેડિક્લેમ ધરાવતા અને જેમને સારવાર માટે સરકારની સંપૂર્ણ સહાય મળે છે તેવા કર્મચારી અને પેન્શનરો પર આવા ડોક્ટરોની પહેલી નજર હોય છે.
એક અભ્યાસમાં બહાર આવ્યું કે સ્ટેન્ટ મુકાયા હોય કે બાયપાસ કરાઇ હોય તેવા દર્દીઓમાં હૃદયરોગના હુમલા અથવા કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમથી થતાં મૃત્યુમાં કોઈ ઘટાડો થયો નથી.
ઘણાખરા દર્દીઓની હાર્ટની સમસ્યા દવા કે લાઇફસ્ટાઇલમાં ફેરફારથી દૂર કરી શકાય છે.
ભારતની પણ ભાગીદારી હતી તેવા એક ઇન્ટરનેશનલ સ્ટડી એટલે કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનરી સ્ટેન્ટ ઇમ્પ્લાન્ટ કે બાયપાસ સર્જરીથી દર્દીને કોઇ વધારાનો લાભ થતો નથી.ઘણાખરા દર્દીઓની સમસ્યા દવા કે લાઇફસ્ટાઇલમાં ફેરફારથી દૂર કરી શકાય છે.
આ અભ્યાસમાં વિશ્વભરની ૩ર૦ સાઇટ્સ એટલે કે ક્લિનિક અને હોસ્પિટલને સામેલ કરાયાં હતાં, જેમાં ભારતની ૧૯ સરકારી અને ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, તેમાં એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે સ્ટેન્ટ મુકાયા હોય કે બાયપાસ કરાઇ હોય તેવા દર્દીઓમાં હૃદયરોગના હુમલા અથવા કાર્ડિયોવાસ્ક્યુલર પ્રોબ્લેમથી થતાં મૃત્યુમાં કોઈ ઘટાડો થયો નથી. આવા દર્દીઓમાં પણ મૃત્યુનું પ્રમાણ એટલું જ છે જેટલું માત્ર દવા લેનારા દર્દીઓમાં છે. તેનો સીધો અર્થ એ પણ થાય કે સ્ટેન્ટ કે બાયપાસથી દર્દી લાંબું જ જીવશે તેવી કોઇ ગેરંટી નથી. કદાચ અત્યંત ગંભીર સ્થિતિમાં અને ખરેખર જેને જરૂર છે તેવા દર્દીઓનું જીવન આ પ્રોસિજર ચોક્કસ બચાવી શકે છે.
તાજેતરમાં અમેરિકન હાર્ટ એસોસિયેશનની બેઠકમાં આ અભ્યાસનાં તારણો રજૂ કરાયાં હતાં, જેના પર ટોચના કાર્ડિયોલોજિસ્ટ્સે ચર્ચા કરી હતી, જોકે આ અભ્યાસ ફક્ત એવા દર્દીઓ પરનો હતો, જેમને થોડો સમય દુખાવાની ફરિયાદ બાદ ક્રોનિક સ્ટેબલ એન્જાઇનાની તકલીફ હતી અથવા તો સ્ટ્રેસ કે શારીરિક શ્રમ પછી છાતીમાં ભાર લાગતો હતો કે દુખાવો થતો હતો. ડોક્ટરોએ કહ્યું કે આ પરિણામે હાર્ટએટેક આવી ગયો હોય અથવા જેમને અનસ્ટેબલ એન્જાઇનાની તકલીફ હોય તેમને લાગુ પડતો નથી.ઉપરાંત આરામની સ્થિતિમાં પણ જેમને છાતીમાં દુખતું હોય અને દવાથી પણ આરામ ન મળતો હોય તેવા દર્દીઓને પણ આ અભ્યાસ લાગુ પડતો નથી.
આવા દર્દીઓ માટે સ્ટેન્ટ અથવા બાયપાસ જીવન બચાવવાની પ્રક્રિયા હોઈ શકે છે. ભારતના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ અને આ સ્ટડીના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તેમજ હાલમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવના જણાવ્યા મુજબ આ તારણોની ભારત અને અન્ય દેશોમાં ઘણી અસર પડી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સના મતે સ્ટેબલ એન્જાઇના ધરાવતા ઘણાબધા દર્દીઓને સ્ટેન્ટ મૂકવામાં આવે છે અથવા બાયપાસની ભલામણ કરવામાં છે. કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ર૦૧૭માં ભારતમાં ૩.૮૭ લાખ જેટલા લોકોને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા, જે પૈકી ૭૪ હજાર જેટલા એટલે કે ૧૯.૩ ટકા દર્દીઓને ક્રોનિક સ્ટેબલ એન્જાઇનાની તકલીફ હતી એટલે કે સ્ટેન્ટ અનિવાર્ય ન હતા. આ દર્દીઓની સારવાર માત્ર એસ્પિરિન, સ્ટેટિન અને બીપી ઓછું કરવાની દવાથી પણ થઇ શકે તેમ હતી.
ન્યૂયોર્ક યુનિવર્સિટીની ગ્રોસમેન સ્કૈલ ઓફ મેડિસિન તથા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ૩૭ દેશોના પ,૧૭૯ દર્દીઓના કેસની તપાસ કરી હતી. ડો.ભાર્ગવ કહે છે કે છેલ્લાં ૧૦ કે ૧પ વર્ષમાં તબીબી ઉપચારે હરણફાળ ભરી છે. અમારા રિસર્ચનો મેસેજ સાફ છે કે સ્ટેબલ એન્જાઇના ધરાવતા દર્દીઓમાં બિનજરૂરી વાઢકાપ બંધ કરાવવામાં આવે. નવી દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના પ્રોફેસર અને સિનિયર કાર્ડિયોલોજિસ્ટ અંબુજ રોયે જણાવ્યું હતું કે આ પરિણામો આશ્ચર્યજનક નથી, કારણ કે આ પહેલાંના રિસર્ચમાં પણ આ વાત બહાર આવી છે. આ રિસર્ચમાં બહુ મોટી સંખ્યામાં દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેથી ડોક્ટરોએ હવે ઇન્વેસિવ પ્રોસિજર એટલે કે સ્ટેન્ટ અને બાયપાસનો નિર્ણય લેતી વખતે સિલેક્ટિવ બનવું પડશે. હાર્ટએટેક વખતે કે અનસ્ટેબલ એન્જાઇના હોય ત્યારે આ પ્રોસિજર જીવનરક્ષક બની શકે છે. આ રિસર્ચમાં હાર્ટએટેક અથવા રક્તવાહિનીના કારણે થતાં મોતની નોંધણી કરવામાં આવી છે, જેમાં સ્ટેન્ટ અથવા બાયપાસ કર્યા પછી ર,પ૮૮ પૈકીના ૧૧.૭ દર્દીઓનાં મોત થયાં હતાં, જ્યારે માત્ર દવા લેનારા અને લાઇફસ્ટાઇલ બદલનારાં પરિવર્તનથી ૧૩.૯ ટકા દર્દીઓનાં મોત થયાં હતાં. આંકડા સૂચવે છે કે માત્ર દવાઓ કરતાં ઇન્વેસિવ પ્રોસિજર શ્રેષ્ઠ છે તેમ કહી શકાય નહીં.