કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. આથી રાજ્ય સરકાર પણ નાગરિકોનું આરોગ્ય દુરસ્ત રાખવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવી રહી છે. અને હવે તો કેદ્ર સરકાર પણ આયુષ્યમાન ભારત કાર્યક્રમ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. પરંતુ તેમ છતાં વિધિની વક્રતા જુઓ કે આરોગ્ય વિષયક આટલા પગલાં છતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વિલાસપુર કંપા ગામે કેન્સરની મહામારી ભરડો લઈ ગઈ છે.
ગામમાં કેટલી છે વસતિ અને તેમાંથી કેટલા લોકો બન્યા છે કેન્સરનો ભોગ જોઈએ આ અહેવાલમાં.
પ્રાંતિજ તાલુકાનું વિલાસપુરકંપા ગામ. બહારથી આ ગામ સ્વચ્છ અને સુઘડ દેખાઈ રહ્યું છે. ગામમાં પ્રવેશતાં જ થતાં મંદિરના દર્શન અને ગામમાંથી પસાર થતાં ચોરા પર બેઠેલા આ ભોળા ગ્રામજનો. આ દ્રશ્યો ગામડાના શાંતિ અને સંતોષના પ્રતિક જેવા છે. પરંતુ તમને એક વાત જાણીને ભારે આઘાત લાગશે. આપને જણાવી દઈએ કે વિલાસપુર કંપાની બહારથી દેખાતી આ શાંતિની ભીતરમાં એક મહાભય ઊછરી રહ્યો છે.
ગામની આ શેરીઓમા દેખાતો સન્નાટો કંઈ એમ જ નથી. શેરીની બાજુમાં ઓટલા પર બેઠેલા આ વૃદ્ધ મહિલા અનેક દિવાળી જોઈ ચૂક્યા છે. પરંતુ હાલ ગામના લોકો પર જે આફત આવી પડી છે તેની ચિંતા તેમના ચિત્તની દશા પરથી સ્પષ્ટ રીતે પરખાઈ જાય છે. આપને થશે કે આ વળી કયા મહાભયની વાત ચાલી રહી છે.
તમારે આ ગામના એક ઘરમાં પથારીવશ દર્દીની જાતે જ મુલાકાત લેવી પડશે. હાથમાં રોગ નિદાનના આ દસ્તાવેજોના પાનાં ફેરવતા આ દર્દીના પરિજનો કંઈ એ નથી શોધતા કે તેમને કયો રોગ છે. કેમ કે તેમને ખબર છે કે ઘરના આ વૃદ્ધાને કેન્સર છે. કેમકે ગામ આખાને કેન્સરે ભરડામાં લીધું છે ત્યારે તેમને આ વૃદ્ધાને થયેલા કેન્સરથી નવાઈ નથી ઉપજી રહી.પરંતુ તેમને ચિંતા એ સતાવી રહી છે કે, આખરે ગામ લોકોના શરીરમાં આટલા મોટાપાયે કેન્સરનો પેસારો કઈ રીતે થઈ રહ્યો છે?
વિલાસપુર કંપામાં છેલ્લા કેટલાક સમયથી કેન્સર ના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. ગામના બીજા એક નાગરિકને જુઓ તેમના ગળા પરનુ આ નિશાન કેન્સરની સર્જરી કરાઈ હોવાની સાક્ષી પૂરે છે. ગામમાં આવા તો અનેક દર્દીઓ કેન્સરથી પીડાઈ રહ્યા છે.વિલાસપુર ગામમાં 180 લોકો વસવાટ કરે છે. જેમાંથી 20થી વધુ લોકોને કેન્સર હોવાનું નિદાન થયું છે. અત્યાર સુધીમાં કેન્સરગ્રસ્ત 20 લોકોમાંથી 9 લોકો તો મૃત્યુની ચીર નિદ્રામાં પોઢી ગયા છે. અને હાલ 10થી વધારે લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 180 વ્યક્તિઓમાંથી 20 જણાને કેન્સર હોવું એ સામાન્ય વાત નથી. જેના કારણે ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પરંતુ જિલ્લામાં કેન્સરે આ રીતે ભરડો લીધો હોવા છતાં આરોગ્ય વિભાગે હજુ જાણે નિદ્રામાં છે. લોકો સરકારના આરોગ્ય વિભાગને પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે.
કેન્સરની મહામારીમાં સપડાયેલા ગ્રામજનો આરોગ્ય અધિકારીઓની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આરોગ્ય અધિકારીઓ, સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાત સૂત્રો દિવાલો પર ચિતરાવીને, પોતાની ફરજ પૂરી થઈ હોવાનો સંતોષ માની બેઠા છે. એક જ ગામમાં કેન્સરના આટલા બધા કેસ હોવા છતાં હજુ સુધી આરોગ્ય વિભાગે વિલાસપુર કંપના અડધાગામની મુલાકાત કરી નથી મીડિયાએ તેમનું ધ્યાન દોર્યું તો કહે છે કે ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મળશે પછી પગલાં લઈશું.
180 જણની વસ્તી માથી 20 લોકોને કેન્સર હોવું એ કંઈ સામાન્ય વાત નથી.રોગનું નિંદાન જરૂરી છે, ઉપચાર બેહદ જરૂરી છે પરંતુ સાથે એ તપાસ કરવી પણ જરૂરી છે કે, આખરે નાગરિકોના શરીરમા કેન્સરના વાયરસ દાખલ થવાનું મુખ્ય કારણ કયું છે? ઈલાજ સાથે આ કારણે જાણીને તેને અકુશમાં લેવામા આવે તો જ નાગરિકોના જીવ બચાવી શકાશે.વધારે જાનહાનિ થાય તે પહેલા સરકારે સ્ટેટ લેવલની કોઈ તજજ્ઞ એજન્સીને તપાસ સોંપવાની જરૂર છે.