ગીર-સોમનાથ વેરાવળના આદરી સમુદ્ર કાંઠા પરથી વધુ 20 નશીલા પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા, ડ્રગ્સ માફિયાઓનો નવા કિમિયો ઉજાગર
ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી નશીલા પદાર્થ આજે પણ મળ્યા
ગીર-સોમનાથમાં વધુ 20 પેકેટ મળી આવ્યા
ગઈકાલ સુધીમાં 160 પેકેટ મળ્યા હતા
ગીર સોમનાથના દરીયાકિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથવાત છે. ગઈકાલે 160 પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા હતા. જે બાદ આજે વધુ 20 પેકેટ ભરેલી કોથળો મળી આવ્યો છે. ગુજરાત તેમજ દેશની સુરક્ષા એજન્સીઑ સતર્ક મોડમાં આવી ગઈ છે. અને માછીમાર આગેવાનો સાથે સંકલન કરી તપાસ તેજ કરી છે.
કરોડોમાં કિમંત અંકાઇ
મહત્વનું છે કે સોમનાથના દરિયા કિનારેથી નશીલા પદાર્થ મળવા મામલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, આદરીથી સોમનાથ-લાટી સુધીના દરિયા કિનારેથી 1-1 કિલોના 160 પેકેટ મળી આવ્યા હોવાની ગઈકાલે જ વાત કરી હતી. અંદાજે 2.5 કરોડથી વધુ કિમંતનો ચરસનો જથ્થો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે બુધવાર સવારથી ASP ઓમપ્રકાશ જાટના નેજા હેઠળ SOGના PI એસ.એલ. વસાવા, LCBના કે.જે.ચૌહાણ, મરીનના PI એન.જી.વાઘેલા સહિત સ્થાનીક પોલીસની 10 ટીમો મેગા સર્ચ કરી એક બાદ એક બિનવારસી નશાના પેકેટ ઝડપી રહી છે.
આ પેકેટમાં ચરસ હોવાની શંકા
પોલીસ સધન પેટ્રોલિંગ કરી રહી તે સમયે વેરાવળના આદરી દરિયા કિનારા પાસે એક પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો. જે શકાસ્પદ દેખાતા તપાસ થતાં તેમાંથી 20 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે આ પેકેટમાં પણ ચરસ હોવાની શંકા છે.
આ પહેલા કચ્છ, પોરબંદર અને જામનગર તેમજ જુનાગઢ ખાતેથી પણ મળી આવ્યા હતા પેકેટ
ગઈકાલે મળેલા પેકેટ પર પાકિસ્તાનની સુગર મિલનો લોગો જોવા મળ્યો હતો. જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર 10 ટીમોનું સઘન પેટ્રોલિંગ હજુ પણ ચાલુ છે તેથી વધુ જથ્થો મળી આવવાની શક્યતાઓ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ, પોરબંદર અને જામનગર બાદ ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી 39 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. આ જોતાં ડ્રગ્સ માફિયાઑએ નવો રુટ પસંદ કર્યો હોય તેવુ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.