વડોદરાના નંદેસરી નજીક દામાપુરા ગામે 2 નાના બાળકોના દીવાલ નીચે દબાઇ જતા કરૂણ મોત નિપજ્યાં છે. વર્ષો જૂના મકાનની 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાઇ થતા 10 અને 12 વર્ષના બાળકોના મોત થયા છે.
વડોદરાના નંદેસરી નજીક દામાપુરા ગામે દીવાલ ધરાશાઈ
2 નાના બાળકો દીવાલ નીચે દબાઈ જતાં કરૂણ મોત
જૂના મકાનની 10 ફૂટની દીવાલ થઈ ધરાશાઈ
વડોદરાના નંદેસરી પાસે દામાપુરા ગામમાં બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે. દામાપુરા ગામના ભાથીજીવાળા ફરિયામાં રહેતા 2 બાળકો દિગ્વિજય પરમાર અને વિક્રમ પરમાર જેમની ઉંમર અંદાજે 10 અને 12 વર્ષ છે. આ બન્ને બાળકો આંગણવાડીમાં આવેલા સરકારી નાસ્તાને લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ખડીયાત રસ્તા પરના એક વર્ષો જૂના મકાનની 10 ફૂંટ ઊંચી દીવાલ અચાનક જ ધરાશાયી આ બન્ને બાળકો પર પડી હતી.
આ દીવાલના કાટમાળમાં બન્ને બાળકો દટાઇ ગયા હતા. બન્નેને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગ્રામજનોએ તાત્કાલિક બાળકોને કાટમાળમાંથી બન્ને બાળકોને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પટિલ ખસેડ્યા હતા. જ્યાં ડૉક્ટરે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
રમતા રમતા બે બાળકોના મોતના સમાચારથી દામાપુરા ગામ અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.