વિસનગરના થલોટા ચોકડી ચાર રસ્તા નજીક વરસાદના પાણીમાં બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા બની દુર્ઘટના, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા
વરસાદના પાણીને લઈ વિસનગરમાં બની દુર્ઘટના
ખુલ્લી ગટરમાં બે વિદ્યાર્થીનીઓ ડૂબી હોવાનું સામે આવ્યું
એક વિદ્યાર્થીનીનું મોત, એકનો બચાવ
મહેસાણાના વિસનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિસનગરમાં થલોટા ચોકડી નજીક ખુલ્લી ગટરમાં 2 બાળકી પડી જતાં એક મોતને ભેટી છે. જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. 3 કલાકની ભારે જહેમત બાદ કિશોરીની ભાળ મળી હતી. જે બાદ મોત વચ્ચે ઝોલાં ખાતી હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ટુંકી સારવાર બાદ 14 વર્ષીય જિયા વિજયભાઈ નાયી નામની બાળકીએ દમ તોડી દીધો હતો. જ્યારે બીજી બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.
સાયકલ પરથી કાબૂ ગુમાવતાં ઘટી ઘટના
આપને જણાવી દઈએ કે શાળાએથી ઘરે જવા માટે બાળકીઓ નીકળી હતી. થલોટા ચોકડી પર રોડ ક્રોસ કરવા જતા સાયકલ સ્લીપ મારી ગઈ હતી. સાયકલમાં સવાર બંને બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. વરસાદના પાણીમાં બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. 3 કલાકની જહેમત બાદ એક બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એકને બચાવી લેવાઈ હતી. . ઘટનાને લઇ લોકોનો નગરપાલિકા તંત્ર સામે રોષ ભભૂકયો છે. 14 વર્ષીય જિયા વિજયભાઈ નાયીનુ ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં પોલીસ, નગરપાલિકા તંત્ર અને પોલીસ સહિત સ્થાનિકો જોડાયા
વિસનગરમાં વરસાદી સિઝનમાં ખુલ્લી ગટરમાં બાળકીઓ ગરકાવ થઇ જતા રાડબુમ મચી ગઈ હતી. જોત જોતામાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. હાજર સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ તંત્ર અને ફાયર ટીમને જાણ કરી હતી. જે બાદ મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. તેણીને શોધવા ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ કમરકસી હતી.
JCBથી ગટર તોડી પડાઈ
ભારે વરસાદને પગલે ગટર લાઈનમાં પાણીનો પ્રવાસ ખૂબ હતો જેથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મોટી તકલીફ પડી રહી હતી. અંતે JCB મશીનની મદદથી ગટર તોડવામાં આવી હતી. અને એક બાળકીને ગંભીર હાલતમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે બાદ 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
બે દિકરીઓ તણાઇ હતી, એકને બચાવી લીધી: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
સમગ્ર ઘટનાને પગલે વિસનગરના MLA અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે બાદ નિવેદન આપતા કહ્યું કે મને વિસનગરમાં ભારે વરસાદમાં આ દુર્ઘટનાના સમાચાર મળ્યા, હાઇવે પર એક તરફનું પાણી બીજી તરફ જાય તે માટે નાળુ બનાવ્યું છે. બે દિકરીઓ તણાઇ હતી, એકને બચાવી લીધી છે. દિકરીનું હૃદય બંધ થઇ જતા મોત નિપજ્યું છે. વિસનગરે એક દીકરી ગુમાવી એનું દુઃખ છે.
નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ મીડિયાને જોઈ ભાગ્યાં
વિસનગરમાં ખુલ્લી ગટરમાં ડૂબવાથી બાળકીનું મૃત્યુ થયું છે. નગરપાલિકાના શાસકોનો અણઘડ વહીવટ આ માટે જવાબદાર છે. પણ શાસકો જવાબ સુદ્ધાં આપવાથી ભાગી રહ્યા છે. મીડિયાએ સવાલ કરતાં નગરપાલિકાના પ્રમુખે ચાલતી પકડી હતી.