દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉભરાટનાં દરિયામાં નહાવા પડેલા સુરતના બે બેંક કર્મીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ બેંક કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું
ઉભરાટના દરિયામાં બે બેંક કર્મી ડૂબી ગયા
ચાર બેંક કર્મચારીઓ ગયા હતા દરિયા કિનારે ફરવા
બંનેની લાશ મળી આવી.મરોલી પોલીસે ગુનો નોધ્યો
દીપાવલીના તહેવારો નજીક આવતા જ દુર્ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ઉભરાટનાં દરિયામાં નહાવા પડેલા સુરતના બે બેંક કર્મીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ બેંક કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.બંને ડૂબી ગયેલા બેંક કર્મીઓની લાશ ભારે શોધખોળ બાદ મોડી સાંજે મળી આવી હતી.
સુરતની બેંક ઓફ મહારાષ્ટ્રના કર્મચારી
દીપાવલીના તહેવારોનો આનંદ અને રવિવારની રજા હોય સુરતની બેંક ઓફ મહારાષ્ટ્રનાં ચાર કર્મચારીઓ નવસારી નજીક મરોલી પાસેના ઉભરાટનાં દરિયા કિનારે ફરવા-નહાવા ગયા હતા. જેમાંથી બે બેંક કર્મચારીઓનહાવા પડ્યા હતા.આ બે બેંક કર્મીઓ, સુહાસ સુભાસ શિંદે (37)અને તરુણ ઠાકોર (ઉ.24 ) પાણીમાં ઊંડે સુધી ગયા હતા. આ બંનેને તરતા નહોતું આવડતું આમ છતાં પાણીમાં ખુબ આગળ નીકળી ગયા હતા.પરિણામે દરિયાની તોફાની લહેરો સામે ઝીંક ના ઝીલી શક્યા અને ડૂબી ગયા હતા.
અન્ય બે બેંક કર્મીઓએ જાણ કરી
ઉભરાટના દરિયામાં પોતાના બે મિત્રો પાણીમાં ઓઝલ થી ગયેલા જોઈ,અન્ય બે સાથી મિત્રો જેઓ દરિયા કિનારે ઉભા હતા તેઓએ તાત્કાલિક ગ્રામ રક્ષક દળના જવાનોને ઘટનાની જાણ કરી હતી. ગ્રામ રક્ષક દળના જવાનોએ તુરંત જ બંને બેંક કર્મીઓની લાશ શોધવા તરવૈયાઓને કામે લગાવ્યા હતા. ભારે જહેમત બાદ એક બેંક કર્મીની લાશ બપોરે અને એકની મોડીસાંજે દરિયામાંથી લાશ મળી આવી હતી. મરોલી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
શનિવારે મોરબી જિલ્લામાં પણ ત્રણ ડૂબ્યાં
દિવાળીનું વેકેશન જાહેર થતા જ બાળકો અને યુવકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ,રાજકોટથી મોરબી ફરવા આવેલા ત્રણ યુવકો રોહીશાળાના તળાવમાં ડૂબી જતા ઘેરા શ્કોની લાગણી ફેલાઈ છે.
મોરબી જીલ્લાના રોહીશાળામાં ઘેટલી કરુણાંતિકામાં રાજકોટથી મામાના ઘેર રોહીશાળામાં ફરવા આવેલા બે યુવકો ગામના તળાવમાં નહાવા પડ્યા હતા. બંને યુવકો સાથે મામાનો દીકરો ભાઈ પણ કંપની આપવા તળાવમાં નહાવા કૂદ્યો હતો. દીપાવલીના તહેવારો પૂર્વે જ ત્રણે'ય કંધોતર યુવકો તળાવમાં ડૂબી જતા. ઘરમાં માતમ છવાયો હતો. નાના એવા રોહીશાળામાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
ટંકારાના રોહીશાળામાં કરુણાંતિકા
ટંકારા તાલુકાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.વ.18) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.વ.16) બંને રાજકોટથી દિવાળીનો તહેવાર કરવા આવ્યા હતા. આ બંને પોતાના મામા હિતેશભાઈ નિમાવતના પુત્ર મેહુલ નિમાવત (ઉ.વ.20) સાથે રોહિશાળા ગામના ધણચોક નજીક આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા.
આ દરમિયાન ન્હાતી વેળાએ અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના કરુણ મોત નિપજયા છે. જેને પગલે તંત્ર દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.